નડિયાદમાં ઉછીના પૈસાની બાબતે 7 લેણદારોએ એક ઈસમને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
નડિયાદ: શહેરમા રહેતાં એક ઈસમને રૂપિયાની જરૂર પડી હોવાથી સાત ઈસમો પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધાં હતાં. જો કે નાણાંભીડને કારણે તે પૂરેપૂરી રકમ ચૂકવવામાં સફળ થયો ન હતો. જેથી સાતેય લેણદારોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસમાં આપી છે.
આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં મિલ રોડ પર આવેલ વાડીલાલની ચાલીમાં રહેતાં સાહીદહુસેન અબ્દુલકરીમ અન્સારી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. બે-ત્રણ વર્ષ અગાઉ સાહીદહુસેનને કોઈ કારણોસર રૂપિયાની જરૂર પડતાં તેણે નડિયાદમાં રહેતાં રહેમાનભાઈ સલમાનભાઈ અન્સારી, મહેન્દ્રભાઈ રાવજીભાઈ તળપદા, અમીતભાઈ રબારી, કૃણાલ બારોટ, લાલજીભાઈ ભરવાડ, ભરતભાઈ રાવળ અને વિનુભાઈ રબારી પાસેથી હાથ ઉછીના (વ્યાજ વટાવ) રૂપિયા લીધાં હતાં. અને ત્યારબાદ થોડા-થોડા કરી આ તમામ લેણદારોને રૂપિયા ચૂકવતાં હતાં. ત્યારબાદ બાકીના રૂપિયા લેવા માટે લેણદારોએ સાહીદહુસેન પાસે ઉઘરાણી શરૂ કરી હતી. જો કે આપવાના બાકી નીકળતાં રૂપિયાની વ્યવસ્થા ન હોવાથી તા.૨૫-૩-૧૯ ના રોજ સમાધાન કરવાનું નક્કી થયું હતું. તે મુજબ ૨૫ માર્ચના રોજ બપોરના સમયે નડિયાદ કોર્ટમાં સાતેય લેણદારો તેમજ સાહીદહુસેન હાજર રહ્યાં હતાં. જ્યાં સાહીદહુસેને તમામ લેણદારોને રૂપિયાની સગવડ થશે તેમ તેમ રૂપિયા ચૂકવી દેવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાઈ ગયેલા તમામ લેણદારો સાહીદહુસેનને અપશબ્દો બોલી રૂપિયા નહી આપો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી સમાધાન કર્યાં વગર ત્યાંથી નીકળી ગયાં હતાં.