ગુજરાત
News of Tuesday, 14th May 2019

પાણીની તંગી વચ્ચે માઠા સમાચાર : ચોમાસુ ૨૦ જુલાઇએ રાજ્યમાં બેસશે

૧૫ સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સારો વરસાદ પડી શકે

ગાંધીનગર તા. ૧૪ : ૨૦૧૮માં ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે રાજયના અનેક જિલ્લાઓ અત્યારે પાણી માટે તરસી રહ્યા છે ત્યારે રાજય સરકાર દ્વારા પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

હવામાન વિભાગ સિવાય ગ્રહ-નક્ષત્રોની યુતિ અને વનસ્પતિનાં લક્ષણોના આધારે પણ ચોમાસાની આગાહી કરવામાં આવે છે. આ બાબતોને આધારે કરવામાં આવેલી આગાહી નિરાશાજનક સમાચાર લાવી રહી છે. એના આધારે આગાહી કરવામાં આવી રહી છે કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે. એ ઉપરાંત ચોમાસું ૧૫ જૂનને બદલે ૨૦ જુલાઈએ ગુજરાતમાં આગમન કરશે.

આ વર્ષે એવો વરતારો છે કે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાઈ જશે. ગુજરાતમાં ૧૫ જુલાઈથી મધ્યમસર વરસાદના યોગ છે. આ તારણ વરસાદના ગર્ભ, હુતાસણીનો પવન અને અખાત્રીજના પવનના આધારે કરવામાં આવી રહ્યો છે. વરતારા મુજબ ૧૫ સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સારો વરસાદ પડી શકે છે.

એક બાજુ અત્યારે ગુજરાતમાં પાણીની તંગી છે અને જો વરસાદ ખેંચાય તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. બીજી બાજુની જો વાત કરવામાં આવે તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને એને કારણે ખેડૂતોનો પાક કેટલીક જગ્યાએ બગડ્યો છે ત્યારે જો ચોમાસું ખેંચાઈ જાય તો ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

(9:41 am IST)