ગુજરાત
News of Wednesday, 14th April 2021

અમદાવાદમાં આધેડનો શ્વાસ રાત્રે રૂંધાવા લાગ્યોઃ ૧૦૮ ઍમ્બ્યુલન્સના બદલે પ્રાઇવેટ વાહનમાં પુત્ર શારદાબેન હોસ્પિટલમાં પહોîચ્યો તો સિક્યુરીટી ગાર્ડે અંદર ન આવવા દીધા

અમદાવાદ : નામની સંવેદનશીલ સરકારની કોરોનામાં જાણે માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો મંગળવારે રાત્રે પ્રકાશમાં આવ્યો હતો. નરોડાના આધેડને અચાનક રાત્રે શ્વાસ રૂંધાવા લાગ્યો હતો તેમને દાખલ કરવા નામની ઇમરજન્સી 108 ન આવી. આખરે પુત્ર કારમાં પિતાને શરદાબેન હોસ્પિટલ લઈ પહોંચ્યો હતો. જ્યાં સિક્યુરિટી ગાર્ડ શંકરે દર્દીને શ્વાસ ન લેવાતો હોવા છતાં ઘૂસવા દીધા નહતા.

આટલું જ નહીં, હોસ્પિટલ RMOએ સ્પષ્ટ જણાવી દીધું કે મ્યુનિસિપલ કમિશનરનો આદેશ છે માટે 108થી તમે નથી આવ્યા એટલે દાખલ નહી કરીએ પુત્ર પિતાનો જીવ બચાવવા કરગર્યો છતાં નિર્દયી શારદાબેન હોસ્પિટલ જીદ પર અડી રહ્યું અને દર્દીને દાખલ ન જ કર્યા. આખરે દર્દીને પોલીસની મદદથી દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નરોડા હરીદર્શન ચાર રસ્તા પાસે રહેતા બાલકૃષ્ણ નિવૃત કેન્દ્ર સરકારના કર્મચારી છે. મંગળવારે રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમના પુત્રએ 108ને જાણ કરી હતી, પરંતુ કલાકો વીત્યા છતાં પણ 108 આવી નહતી. અનેક વખત 108 પર કોલ કરવા છતાં એમ્બ્યુલન્સ મોકલવામાં આવી નહતી. આખરે પિતાની વધુ તકલીફ ના જોઈ શકતા તેમનો પુત્ર તેમને કારમાં લઈ હોસ્પિટલ જવા માટે નીકળ્યો હતો. 2-3 હોસ્પિટલમાં ફર્યા છતાં ક્યાંય જગ્યા ન હોવાથી શરદાબેન હોસ્પિટલ પહોંચ્યા હતા. પિતાને શ્વાસ ના લેવાતો હોવા છતાં નિર્દયી સિક્યુરિટી ગાર્ડે દર્દીને હોસ્પિટલમાં ઘુસવા દીધા ન હતા. પુત્ર કરગરતો રહ્યો પણ સિક્યુરિટી અને નિર્દયી હોસ્પિટલ તંત્ર દર્દીને દાખલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

RMOએ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરનો આદેશ બતાવ્યો કે, 108 વગર દર્દીને દાખલ કરવામાં નહી આવે. આખરે પુત્રએ મદદ માટે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જ્યાંથી શહેરકોટડા પોલીસ મદદ માટે દોડી આવી હતી.પોલીસે પણ દર્દીની સ્થિતિ સિરિયસ જોતાં દાખલ કરવા માટે અપીલ કરી હતી. આમ છતાં હોસ્પિટલ સત્તાધીશો મ્યુનિસિપલ કમિશ્નરનો લેટર બતાવતા રહ્યાં હતા. આખરે એક દર્દીને મૂકવા આવેલી એક 108ના કર્મીઓએ દર્દીની સ્થિતિ જોઈ ઓક્સિજન આપ્યું અને તેમને દાખલ કરવા મદદ કરતા પુત્રના જીવમાં જીવ આવ્યો હતો.

આ અંગે દર્દીના પુત્ર આકાશે જણાવ્યું કે , હોસ્પિટલનો સિક્યુરિટી ગાર્ડ શંકર અને RMO નિયમો બતાવતા હતા. મારા પિતા જીવન મરણ વચ્ચે જોલા ખાતા હતા અને 108 પણ ન મળી? આ સરકારની કેવી વ્યવસ્થા અને નિયમો છે? કો મરી જાય પણ નિયમ વગર દર્દી હોસ્પિટલ પહોંચે તો દાખલ કરવા નહી ? માનવતા જેવું કશું બચ્યું જ નથી માત્ર નિયમો હોય તેમ જ લાગી રહ્યું છે.

(4:51 pm IST)