ગુજરાત
News of Sunday, 14th April 2019

ભાજપના ગઢ ગુજરાતમાં ૧૯૮૪ બાદ કોઇ મુસ્લિમ સાંસદ ચૂંટાયા નથી

ગુજરાત :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય અને લાંબા સમયથી ભાજપનો ગઢ રહેલા ગુજરાતમાં 1984 બાદ કોઈ મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યો નથી. 1984ના સામાન્ય ઈલેક્શનમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી જીત્યા હતા. રાજ્યની વસ્તીમાં મુસ્લિમોની હિસ્સેદારી અંદાજે 9 ટકા છે, અને તેઓ પારંપરિક રૂપથી કોંગ્રેસના સમર્થક રહ્યાં છે.

અહેમદ પટેલે આપી હતી દેશમુખને મ્હાત

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ 1984માં ચંદુભાઈ દેશમુખને હરાવીને ચૂંટણી જીત્યા હતા. જોકે, 1989માં તેઓ દેશમુખથી જ હારી ગયા હતા. અહેમદ પટેલ હાલ રાજ્યસભા સદસ્ય છે, અને તેઓ ભરૂચ સીટથી 1977 અને 1980માં ચૂંટણી જીત્યા હતા. ચૂંટણી તજજ્ઞોનું માનવુ છે કે, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા 1990માં રાજ્યના સોમનાથથી શરૂ કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી કાઢવામાં આવેલી રથયાત્રા બાદ હિન્દુત્વમાં વધારો થયો અને હતો અને તેનું પરિણામ એ રહ્યું કે, રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસ પાર્ટીએ દરેક લોકસભા ઈલેક્શનમાં રાજ્યમાં ઓછામાં એક મુસ્લિમ ઉમેદવારની ટિકીટ ફાળવી છે. જેમાં હાલ ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ શેરખાન પઠાણને ટીકિટ આપી છે. જોકે, આ સીટ પર કોંગ્રેસ અહેમદ પટેલને જ લડાવવા માંગતુ હતું, પણ તેમણે અન્ય જવાબદારીનું કારણ આગળ ધરીને ચૂંટણી લડવાની ના પાડી હતી. તો બીજી તરફ, સત્તારુઢ ભાજપ દ્વારા કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપવામાં આવતી નથી. કહેવાય છે કે, 1990ની રથયાત્રા બાદથી ધ્રુવીકરણને કારણે મુસ્લિમ ઉમેદવારનું જીતવુ અસંભવ ગણાવવા લાગ્યું છે.

આ જ કારણે, ગુજરાતમાં ભલે 9 ટકા મુસ્લિમ આબાદ હોય, તેમ છતા રાજ્યમાંથી છેલ્લા 30 વર્ષોમાં કોઈ મુસ્લિમ પ્રતિનિધિ લોકસભા ઈલેક્શન જીતીને સાંસદ સુધી પહોંચ્યો નથી. કહેવાય છે કે, ગુજરાતમાં રાજનીતિક પાર્ટીઓ મુસ્લિમ ઉમેદવાર પર દાવ લગાવતા અચકાય છે.

1962માં ગુજરાતમાં લોકસભા ઈલેક્શનની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 3154 ઉમેદવારોએ ચૂંટણી લડી છે. તેમાંથી માત્ર 15 ઉમેદવારો જ મુસ્લિમ રહ્યાં છે. ગત 30 વર્ષોમાં કેટલાક ઉમેદવાર ઉભા તો રહ્યા, પણ જીતી શક્યા નથી. આ જ કારણ છે કે, પક્ષ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ ફાળવતા નથી.

(10:01 am IST)