અમદાવાદમાં ઉધાર ગુટખા ન આપતા દુકાનદારની છરીના ઘા ઝીંકી હત્યાઃ માથાભારે શખ્સોનું કારસ્તાન
અમદાવાદઃ અમદાવાદમાં દુકાનદારે બાકી પૈસામાં ગુટખા ન આપતા ૧૯ વર્ષીય દુકાનદારની છરીના ઘા ઝીંકીને હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરાઈવાડી વિસ્તારના શિતલનગરમાં 19 વર્ષિય હેમિલ જૈનના પિતા પ્રોવિઝન સ્ટોર ચલાવતા હતા. હેમિલ તેના પિતાને મદદ માટે દુકાન પર કામ કરતો હતો. મંગળવારે વિસ્તારના બે માથાભારે શખશો તેની દુકાને આવ્યા અને ઉધારમાં ગુટખાની માંગણી કરી. દુકાનમાં કામ કરી રહેલા હેમિલે ઉધારમાં ગુટખા આપવાની ના પાડી અને આગળના બાકી રૂપિયાની માંગણી કરી. જેથી માથાભારે શખ્સો હેમિલ પર ગુસ્સે થઈ ગયા અને બેમાંથી એક ચપ્પુ કાઢી હેમિલ પર હુમલો કરી દીધો.
સ્થાનિક માથાભારે શખશોએ હેમિલને છ કરતાં વધુ ચપ્પાના ઘા મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકો હેમિલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદ અમરાઈવાડી વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. એકઠા થઈ સ્થાનિકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોચ્યા અને આવા માથાભારે શખશો જે ઘણા સમયથી તે વિસ્તારમાં આતંક ફેલાવી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી.