ગુન્હાઓના ઉકેલને વેગ આપવા માટે હસ્તાક્ષર નિષ્ણાંતોની જગ્યા વધારાશે
સાયન્ટીફિક લેબ.માં થતા વિલંબનો મુદ્દો ઉઠાવતા બ્રિજેશ મેરજા :મોરબીનો નિખિલ ધામેચા લાપતા હોવાનો મુદ્દો ગૃહમાં
ગાંધીનગર, તા. ૧૪ : સરકારે ગુન્હાઓનો ભેદ ઉકેલવા અથવા અમૂક ઘટનાઓમાં ઉંડી તપાસ માટે જરૃરી હસ્તાક્ષર નિષ્ણાંતોની જગ્યા વધારીને કામગીરીને વેગ આપવાનું આશ્વાસન આપ્યું છે.
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન મોરબીના ઘણા સમયથી લાપતા બનેલ દરજી પરિવારના નેત્રદીપક એવા બાળક નિખિલ ધામેચાની ભાળ મેળવવા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાને પ્રશ્નો પૂછી મોરબીની આ સંવેદનાસભર ઘટનાના મૂળમાં તપાસ થાય અને ગુમ થયેલ બાળકના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરી હતી.
સૌરાષ્ટ્રના વકરેલી વ્યાજખોરીના ત્રાસથી આપઘાત કરી લેનાર આસામીએ પોતાની સુસાઇડ નોટમાં જેના તરફ આંગળી ચીંધે છે તેની સામે સમયસર પગલા લેવાય તે માટે સુસાઇડ નોટના અક્ષરોની ખરાઇ માટે સાયન્ટીફીક લેબોરેટરીમાં જે વિલંબ થાય છે તે નિવારવા પ્રશ્ન ઉઠાવતા ગૃહ મંત્રીશ્રીએ હેન્ડ રાઇટીંગ એકસપર્ટની જગ્યાઓ વધારીને આવી કામગીરીને વેગવંતી બનાવશે એમ જણાવ્યું હતું.