સાસરિયાના ત્રાસથી કંટાળી લગ્નના એક જ વર્ષમાં કાપોદ્રાની પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
સુરત: શહેરમાં સાસરીયાઓ નાનીનાની વાતોમાં ભૂલ કાઢતા હોય અને પૂછયા વિના પૈસા કાઢી લે છે તેવા આક્ષેપ કરતા હોય લગ્નના એક જ વર્ષમાં કાપોદ્રા વિસ્તારમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પરિણીતાના પિતાની ફરિયાદના આધારે તેના પતિ, સાસુ, સસરા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા ખોડિયાર નગર રોડ ખોડિયાર નગર સોસાયટી મકાન નં.25 માં રહેતા અને આકટેક્ટ તરીકે કામ કરતા ચેતન ભરતભાઈ વનરાની પત્ની શ્રદ્ધા (ઉ.વ.25) એ ગત મંગળવારે સાંજે પોતાના રૃમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માત્ર એક વર્ષ અગાઉ લગ્ન કરનાર શ્રદ્ધાને પતિ ચેતન, સાસુ લાભુબેન અને સસરા ભરતભાઈએ શરૃઆતના છ માસ સારી રીતે રાખી હતી. પરંતુ બાદમાં નાનીનાની વાતોમાં ભૂલ કાઢતા હતા અને પૂછયા વિના પૈસા કાઢી લે છે તેવા આક્ષેપ કરતા હતા. આ મામલે ત્રાસ આપી તેઓ તું કરિયાવરમાં કશું લાવી નથી તો એક્ટીવા તારા પપ્પા પાસેથી લઇ આવ તેમ પણ કહેતા હતા. સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી શ્રદ્ધાએ પિયરમાં વાત કરી સાસરે નહીં જાઉં તેમ કહ્યું હતું. પરંતુ તેને સમજાવી સાસરે મોકલી હતી.