ગુજરાત
News of Friday, 14th February 2020

નોંધણી કરાવેલ ખેડૂતો પૈકી અડધાએ સરકારને મગફળી વેચી, અડધાએ ન વેચીઃ કાલથી ચણા માટે ઓનલાઈન નોંધણી થશે

૨,૪૫,૧૦૫ ખેડૂતો પાસેથી ૨૫૦૮ કરોડની ખરીદીઃ ૧,૬૮,૮૪૨ ખેડૂતોને ૧૭૭૭ કરોડ ચૂકવાયા

રાજકોટ, તા. ૧૪ :. રાજ્ય સરકારે નાગરિક પુરવઠા નિગમને જવાબદારી સોંપીને કરેલ મગફળી ખરીદી પ્રક્રિયા ગઈકાલે પુરી થઈ ગઈ છે. જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવેલ તે પૈકી અડધા ખેડૂતોએ સરકારને મગફળી વેચી છે. અડધા ભાગના ખેડૂતોએ સરકારના બદલે ખાનગી રાહે મગફળી વેચી હોય અથવા અન્ય પાક વાવ્યો હોવા છતા જે તે વખતે મગફળીની નોંધણી કરાવી હોય તેવુ કંઈ બનવા જોગ છે. આવતીકાલથી સરકાર ચણાની ટેકાના ભાવે ખરીદી માટે કામગીરી શરૂ કરશે. નિયત માર્કેટયાર્ડોમા ચણાની ખરીદી માટે ઓનલાઈન નોંધણી થશે.

મગફળી માટે ૪,૭૧,૪૬૦ ખેડૂતોએ નોંધણી કરાવેલ. સરકારે તે તમામને મગફળી લાવવા માટે મેસેજ મોકલ્યા હતા. અડધા જેટલા ખેડૂતો આવેલ. જેમાંથી ૨,૪૫,૧૦૫ ખેડૂતો પાસેથી ૪,૯૨,૮૬૦ મેટ્રીક ટન મગફળી ખરીદવામાં આવી છે. જેની કિંમત ૨૫૦૮.૬૬ કરોડ થાય છે. ૧,૬૮,૮૪૨ ખેડૂતોને રૂ. ૧૭૭૭.૪૧ કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. બાકીના ખેડૂતોને ચુકવણા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. સૌથી વધુ ખેડૂતો ૮૨,૫૦૦ રાજકોટમાં નોંધાયેલ તે પૈકી ૫૦,૯૪૩ ખેડૂતોએ મગફળી વેચી છે. એક બે વિવાદોને બાદ કરતા એકંદરે મગફળી ખરીદી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે.

(3:25 pm IST)