ગુજરાત
News of Wednesday, 14th February 2018

મહિલા મિત્રની હત્યા બાદ પણ મુનીરે પ્રેમિકાની સાથે ડિનર કર્યું

રેશમાબાનુ હત્યા કેસમાં તપાસમાં ખુલાસો થયો : આરોપી રીક્ષા ડ્રાઇવર મુનીરે રેશમાની ઘાતકી હત્યા કરી દીધા બાદ રીક્ષામાંથી લોહીના ડાઘા સાફ કરી દીધા હતા

અમદાવાદ,તા. ૧૪, શહેરના નારોલ વિસ્તારમાં સુએઝ ફાર્મ નજીક લોહીથી લથપથ હાલતમાં મળી આવેલ રેશમાબાનુ રાઠોડની લાશના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે આરોપી રીક્ષા ડ્રાઇવર મુનીરની પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી પરંતુ આ હત્યા કેસમાં પોલીસે જારી રાખેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા કે, આરોપી રીક્ષા ડ્રાઇવર મુનીરે પૂર્વઆયોજિત કાવતરૃ ઘડીને તેની પ્રેમિકા રેશમાબાનુની હત્યા કરી હતી, એટલું જ નહી, હત્યા બાદ પોતે પોલીસના હાથે પકડાઇ જશે તેવો સ્પષ્ટ અંદેશો હોવાથી મુનીરે તેની બીજી પ્રેમિકા રીતુ પઠાણ અને તેના નાના પુત્ર સાથે ડિનર કર્યું હતું. રીતુને ડિનરમાં લઇ જતાં પહેલા મુનીરે રેશમાની હત્યા વખતે રીક્ષામાં પડેલા લોહીના ડાઘા પણ સાફ કરી નાંખ્યા હતા કે જેથી રીતુને તે વાતનો ખ્યાલ ના આવી જાય. પોલીસે ગત શુક્રવારે નારોલ સુએઝ ફાર્મ નજીકથી ઇસનપુર વિસ્તારના મિલ્લતનગર ખાતે રહેતી રેશમાબાનુ મોહમંદહનીફ રાઠોડ નામની પરિણિત મહિલાની લાશ મળી આવી હતી, જેમાં તેની હત્યા ચપ્પાના ઘા ઝીંકી કરાઇ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. દાણીલીમડા પોલીસે સઘન તપાસ શરૃ કરી આ હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં જૂહાપુરા વિસ્તારમાં બાગેબદર સોસાયટી ખાતે રહેતા આરોપી મુનીર રીક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી લીધી હતી.  પોલીસ દ્વારા આરોપીની કડકાઇથી હાથ ધરાયેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા કે, આરોપી મુનીર છેલ્લા બે મહિનાથી તેની પ્રેમિકા રીતુ પઠાણ અને તેના નાના પુત્રની સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો. દરમ્યાન મુનીરના એક મિત્ર શાનુ દ્વારા તેની ઓળખાણ રેશમાબાનુ રાઠોડ સાથે થઇ હતી અને બંને છેલ્લા ઘણા દિવસોથી એકબીજા પર ફોન પર વાત કરી રહ્યા હતા. જો કે, એક દિવસ રીતુને આ વાતની ખબર પડી જતાં રીતુએ મુનીર સાથે ઝઘડો કર્યો હતો. જેથી મુનીરે તેની પ્રેમિકાને સમજાવવા માટે ઘેર બોલાવી હતી જો કે, રેશમાએ તેના ઘેર આવવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમ્યાન ગત ગુરૃવારે રાત્રે મુનીર અને રેશમા દાણીલીમડા ચાની કીટલી પર ભેગા થયા હતા પરંતુ બંને વચ્ચે ઉપરોકત મુદ્દે જ રકઝક થઇ ગઇ હતી. ગુસ્સે ભરાયેલી રેશમા ત્યાંથી ઘેર જવા નીકળી પડી હતી, તેથી મુનીરે તેને મનાવતાં કહ્યું કે, ચાલ, તને હું મારી રીક્ષામાં ઘેર મૂકી જઉ છું. જેથી રેશમા મુનીરની રીક્ષામાં તેની સાથે બેસી ગઇ હતી. રસ્તામાં જ મુનીરે રેશમાને ચપ્પાના ઘા ઝીંકી પતાવી દીધી હતી અને લાશને સુએઝ ફાર્મ પાસે ફેંકી દીધી હતી.

 

(9:42 pm IST)