વાસદ-બોરસદ નજીક પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનની હડફેટે રોડ ક્રોસ કરતા પેટલાદના યુવાનનું મોત
વાસદ:વાસદ-બોરસદ રોડ ઉપર આવેલા ઓવરબ્રીજ પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરતા પેટલાદના યુવાનને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ ખાતે રહેતા અને નંદેસરી બીએબી કંપનીમાં નોકરી કરતાં રાજેશભાઈ નારણભાઈ મકવાણા (ઉ. વ. ૪૫)ગઈકાલે પોતાની સાસરી કંથારીયા આવ્યા હતા અને ત્યાંથી રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે નોકરી પર જવાનું હોય રીક્ષામાં બેસીને વાસદ આવ્યા હતા જ્યાં વાસદ-બોરસદ ઓવરબ્રીજના છેડે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમને માથામા ંતથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતુ.
ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો લઈને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.