માંગરોળના નાના નૌગામમાં યુવાનને બ્લેકમેલ કરી નાણાં પડાવનાર બે શખ્સોની ધરપકડ
માંગરોળ:તાલુકાના નાના નૌગામા ગામેથી મળેલી વાલીયાના મોરા ગામના યુવાનની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલી સુરત જિલ્લા એલસીબીએ નાની નરોલી ગામના બે આરોપીની ધરપકડ કરી છે.
મરનાર યુવાન સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરાવતો હતો, તેનો વિડીયો ઉતારી આરોપીઓ યુવાનને બ્લેકમેઇલ કરી નાણાં પડાવતા હતા. આરોપીઓએ વધુ નાણાંની માંગણી કરતા થયેલા ઝઘડામાં યુવાનને છરાના ઘા મારી પતાવી દીધો હતો.
માંગરોળ નજીકના વાલીયા તાલુકાના મોરા ગામના પરણિત યુવક પુષ્પરાજસિંહ દોલતસિંહ સોલંકી (ઉ.વ. ૩૭)ની હત્યા કરાયેલી લાશ તા. ૧૦ના રોજ નાના નૌગામા ગામેથી મળી આવી હતી. પુષ્પરાજસિંહ તા. ૯ના રોજ રાત્રે ઘરેથી ખેતરે જવા નીકળ્યો હતો.
તેની બાઇક (નં. જીજે-૧૬-સીસી- ૦૧૫૭) ધરમપુર ગામેથી મળી હતી. આ કેસની તપાસમાં માંગરોળ પોલીસ સાથે જિલ્લા એલસીબી પણ જોડાઇ હતી. એલસીબીની ટીમે શંકાસ્પદ મોબાઇલ નંબરો મેળવી તેના લોકેશન કાઢતા બનાવના દિવસે નાની નરોલી ગામ બસ સ્ટેન્ડ પાસે મળતા હતા.
જેથી એલસીબીની ટીમે બે શકમંદ યાસીમ ઉર્ફે ઇકબાલ ઇબ્રાહીમ શેખ (ઉ.વ. ૨૧) અને ઇરફાન હબીબ પઠાણ (ઉ.વ. ૨૦, બંને રહે. મોઘલાણી ફળિયું, નાની નરોલી, તા. માંગરોળ)ની અટક કરી કડક પૂછપરછ કરતા હત્યાના ગુનાની કબુલાત કરી હતી.