ગુજરાત
News of Wednesday, 13th January 2021

અમદાવાદના ઘાટલોડિયાના સમર્પણ ટાવરમાં નિવૃત્તિ જીવન ગાળતા વૃદ્ધે પહેલા સળગીને પાંચમા માળેથી કુદકો મારીને મોત મીઠુ કર્યુ

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વહેલી સવારે આત્મહત્યાનો વિચિત્ર બનાવ બન્યો છે. વહેલી સવારે સમર્પણ ટાવરમાં એક વૃદ્ધે પહેલા સળગીને અને બાદમાં પાંચમા માળથી ઝંપલાવીને આત્મહત્યાનું પગલુ ભર્યું છે. આ ઘટનાથી સમર્પણ ટાવરના રહેવાસીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જેને આ દ્રશ્ય નજરે નિહાળ્યું તેમના માટે તે બહુ જ શોકિંગ બની રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સમર્પણ ટાવર આવેલો છે. આ ટાવરના પાંચમા માળે જયપ્રકાશ નામના શખ્સ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની અને સંતાનમાં બે દીકરીઓ છે. બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તો બીજી તરફ, જયપ્રકાશ પણ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. ત્યારે આજે મળસ્કે જ્યારે સોસાયટીના સદસ્યો ભર ઊંઘમાં હતા, ત્યાં તેમણે આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. પહેલા તો તેમણે પોતાની જાતને સળગાવી હતી. સળગેલી હાલતમાં બાદમાં તેઓએ પાંચમા માળે પોતાના મકાનથી નીચે કૂદકો માર્યો હતો.

જયપ્રકાશે કરેલી આત્મહત્યાના દ્રશ્યો ટાવરમાં લગાવાયેલા સીસીટીવીમાં કેદ થયા છે. તો તેમના આ પગલાથી રહેવાસીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જયપ્રકાશના આત્મહત્યા બાદ લોકો દોડી આવ્યા હતા. લોકોએ તેમના શરીર પર પાણી નાંખીને આગ બૂઝવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

હાલ પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે. જોકે, કયા કારણોસર જયપ્રકાશે પાંચમા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે હજી જાણી શકાયુ નથી. હાલ ઘાટલોડિયા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

(5:08 pm IST)