ગુજરાત
News of Wednesday, 13th January 2021

સાવધાન :રાત્રે 10 વાગ્યા પછી પતંગ-દોરી નહી વેચી શકાય: જેલની હવા ખાવી પડશે

અમદાવાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનો અમલ રહેશે

અમદાવાદ : ઉતરાયણનો તહેવાર આ વખતે પતંગ રસીયાઓ ધામધૂમથી નહી ઉજવી શકે. ઉતરાયણનો તહેવાર આ વખતે નિરશ જોવા મળશે. કોરોના સંક્રમણને કારણે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જેને કારણે પતંગ-દોરીનું વેચાણ પણ ઓછુ થયુ છે. બજારોમાં પણ લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. કોરોના મહામારીને કારણે 10 વાગ્યા પછી અમદાવાદ સહિતના શહેરોમાં કરફ્યૂ લાગુ હોય છે જેને કારણે હવે રાત્રે 10 વાગ્યા પછી જો દુકાનદારો પતંગ-દોરી વેચતા જોવા મળ્યા તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે અને જેલની હવા ખાવી પડશે.

 અમદાવાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પોલીસે વેપારીઓ અને લોકોને રાત્રે 10 વાગ્યા પહેલા દુકાન બંધ કરવાની સૂચના આપી છે. જો રાત્રે 10 વાગ્યા પછી કોઇ વ્યક્તિ રસ્તા પર દેખાયો તો તેની સામે પોલીસ કરફ્યૂ ભંગ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધશે અને જેલમાં પુરી દેશે.

 ઉતરાયણના દિવસે દરેક ઘરના ધાબા પર પોલીસ નજર રાખશે. ઉતરાયણમાં કોરોના સંક્રમણ ના વધે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પોલીસ 50 જેટલા ડ્રોનથી નજર રાખશે. શહેરની ઉંચી ઉંચી બિલ્ડિંગો પર લોકો પર નજર રાખી શકાય તે માટે પોલીસ ખડેપગે રહેશે. ધાબા પર પરિવારજનો સિવાય કોઇ અન્ય વ્યક્તિ સાથે ઉતરાયણની ઉજવણી નહી કરી શકાય. સાથે સાથે ધાબા પર લાઉડસ્પિકર કે ડીજે વગાડી નહી શકાય.

(12:37 pm IST)