માતર તાલુકામાં જુના ઝઘડાની અદાવતમાં બે પરિવારો વચ્ચે હોબાળો: સામસામે હુમલામાં એકની હત્યા:9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
માતર: તાલુકાના ઈન્દ્રાવર્ણા ગામમાં છેલ્લાં ઘણાં સમયથી ઠાકોર અને દરબારો વચ્ચે કોઈને કોઈ મુદ્દે નાના-મોટા ઝઘડા થાય છે. જુના ઝઘડાની અદાવતમાં સર્જાતા આવા ઝઘડાને લઈ છેલ્લાં ઘણાં સમયથી બંને કોમ વચ્ચે તણાવ હંમેશા જોવા મળે છે. ગઈકાલે આવા જ એક તણાવને લઈ બંને કોમના જુથો આમને સામને આવી ગયાં હતાં. આ ધીંગાણામાં દશ કરતાં વધુને ઈજા થઈ હતી. જે પૈકી ગંભીર ઈજાગ્રસ્ત બનેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. લીંબાસી પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આ લખાય છે ત્યારે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળે છે.
આ અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના ઈન્દ્રવર્ણા ગામમાં આજથી બે-ત્રણ વર્ષ અગાઉ નીકળેલા વરઘોડામાં સોલંકી અને જાદવ પરિવાર વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેને લઈ બંને પરિવારો વચ્ચે ખટરાગ સર્જાયો હતો. બંને પરિવારો નજીવી બાબતે સામસામે આવી જતાં હતાં. નાના એવા ગામમાં બે પરિવારો વચ્ચે થયેલી તકરાર દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બની રહી હતી. જેમાં બંને પરિવારોને સમાજનો સાથ મળતાં ઠાકોર અને દરબાર કોમ વચ્ચે તિરાડ પડી હતી.