વડોદરાના વાઘોડિયામાં તાલુકાના સરણેજ નજીક કેનાલમાંથી ભેદી સંજોગોમાં વૃદ્ધની લાશ મળી આવતા તપાસ હાથ ધરાઈ
વડોદરા: શહેરના વાઘોડિયા તાલુકાના સરણેજ ગામની કેનાલમાં હત્યા થયેલ વૃધ્ધની લાશ મળ્યા બાદ તેની ઓળખ થઇ છે. પોલીસે હત્યા કોણે કરી તેમજ ક્યાં કારણોસર કરી તે અંગે વધુ તપાસ શરૃ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે સંખેડા તાલુકાના સણોલી વસાહતમાં રહેતા ૬૦ વર્ષીય શાંતીભાઇ પીછાભાઇ ડુંગરાભીલને સંતાનમાં બે પુત્રો તેમજ સાત પુત્રી છે. શાંતીભાઇ ખેતી કામ કરતા હોવાથી તેઓ ખેતરમાં બનાવેલા મકાનમાં જ પુત્રી અને જમાઇ સાથે રહે છે. શાંતીલાલની તબિયત ખરાબ હોવાથી તેમનો પુત્ર આરસી તેમજ અન્ય સંબંધીઓ તા.૮ના રોજ ખેતરમાં ગયા હતા અને ત્યાં જ રોકાયા હતાં.
રાત્રે બાર વાગ્યાની આસપાસ આરસી ઊંઘમાંથી ઉઠયો ત્યારે ખાટલામાં ઊંઘી ગયેલા પિતા જણાયા ન હતાં તેમની વ્યાપક શોધખોળ છતાં પત્તો મળ્યો ન હતો. દરમિયાન તા.૧૨ના રોજ રાજપુરા-સરણેજ ગામના ક્રોસીંગ ગેટ પાસે એક વૃધ્ધની લાશ મળી હતી. પાણીમાં વધુ સમય રહેવાથી આ લાશ ફૂલી ગઇ હતી તેમજ ડાબા હાથ ઉપર શાંતી આરસી લખાણ હતું અને બંને સાઇડે તીરનું છુંદણું કોતરાવેલ હતું. આ નિશાનો પરથી આ લાશ શાંતીભાઇની હોવાનું ફલિત થયું હતું. મહત્વની બાબત એ છે કે આ લાશ નગ્ન હાલતમાં તેમજ ગળામાં દોરડું બાંધેલી હાલતમાં હતી.