ગુજરાત
News of Friday, 13th December 2019

નિત્યાનંદ કેસ : બંને સાધિકાઓની જામીન અરજી અંતે ફગાવી દેવાઈ

પ્રિયાતત્વા-પ્રાણપ્રિયાને જામીન આપવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટની ના : તપાસ ખુબ નાજુક તબક્કામાં : બંને સાધિકાઓને જામીન આપવાની સ્થિતિમાં કેસ અને પુરાવાઓ સાથે ચેડા થઇ શકે : ગ્રામ્ય કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ તારણો

અમદાવાદ, તા.૧૩ : નિત્યાનંદ આશ્રમ મામલામાં ઉંડી તપાસનો દોર હજુ પણ જારી છે. નવી નવી વિગતો ખુલી રહી છે ત્યારે હાલમાં કસ્ટડીમાં રહેલી નિત્યાનંદની સાધિકાઓની મુશ્કેલીઓ પણ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. કારણ કે કોર્ટ દ્વારા કઠોર વલણ અપનાવવામાં આવી રહ્યું છે. નિત્યાનંદની ભાળ મેળવવાના પ્રયાસ પોલીસ દ્વારા ચાલી રહ્યા છે. બીજી બાજુ નિત્યાનંદ સાથે રહેલી યુવતીઓ મામલામાં પણ ઉંડી તપાસ જારી છે. બીજી બાજુ નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખી માનસિક ત્રાસ આપવાના ચકચારભર્યા કેસમાં ધરકપડ કરાયેલી બંને સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની જામીન અરજી આજરોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે બંને સાધિકાઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, ખૂબ જ સંવેદનશીલ અને મહત્વના એવા આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે જો બંને આરોપી સાધિકાઓને જામીન અપાય તો કેસની તપાસ અને પુરાવા સાથે ચેડા થવાની શકયતા નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં બંને સાધિકાઓની જામીન અરજી ફગાવી દેવી ન્યાયોચિત રહેશે.

                   નિત્યાનંદ આશ્રમની સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની જામીન અરજીનો વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા આ કેસની તપાસ હજુ ચાલી રહી છે. આશ્રમમાંથી ગુમ થયેલી બે બહેનોની ભાળ હજુ મળી નથી, હાઇકોર્ટે આ બંને યુવતીઓને શોધી લાવવા માટે પોલીસ અને તપાસનીશ એજન્સીને હુકમ કરેલો છે ત્યારે સમગ્ર પ્રકરણમાં તપાસના કામે આરોપીઓની ભૂમિકા ઘણી મહત્વની હોઇ હાલના સંજોગોમાં જયારે તપાસ નાજુક તબક્કામાં હોઇ તેઓને જામીન આપી શકાય નહી. જો બંને સાધિકાઓને જામીન અપાય તો કેસની ચાલી રહેલી તપાસને ગંભીર અને વિપરીત અસર થશે. આ સંજોગોમાં કોર્ટે આરોપી સાધિકાઓની વચગાળાની જામીન અરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બંને સાધિકાઓની રેગ્યુલર જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.

            અત્રે ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમના વિવાદમાં સાધિકાઓ હરીણી ચેલ્લાપ્પન ઉર્ફે માં નિથ્યા પ્રાણપ્રિયાનંદા (ઉ.વ. ૩૦) તથા રિધી રવિકિરણ ઉર્ફે માં નિથ્યા તત્વાપ્રિયાનંદા (ઉ.વ. ૨૪)ની ધરપકડ બાદ બન્ને સાધિકાઓના ૫ાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.  ત્યારબાદ આ બંને સાધિકાઓએ જામીન અરજી કોર્ટમાંથી રાહત માંગી હતી., જો કે, ગ્રામ્ય કોર્ટે બંને સાધિકાઓની કાયમી જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હવે બંને આરોપી સાધિકાઓને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવી પડશે, આમ તેઓની મુશ્કેલી વધી છે.

(8:31 pm IST)