સુરતના વરાછામાં ઉઘરાણી કરવા જવું માતા-પુત્રીને ભારે પડ્યું:શખ્સે ઓફિસમાં ગોંધી રાખતા તપાસ હાથ ધરવામાં આવી
સુરત: શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ સ્થિત અનુરાધા સોસાયટીમાં રહેતા વિધવા પુષ્પાબેન નાનજી વાઘાણી (ઉ.વ. 50 મૂળ રહે. સુરકા, તા. શિહોર, જિ. ભાવનગર) રહેણાંક મકાનના પહેલા માળે લોટાલટ્સ ફાર્મસિટીકલ્સ નામે દવા સપ્લાયનો ધંધો કરે છે. પુષ્પાબેન અગાઉ અમદાવાદના કાલુપુર ખાતે ઓફિસ ધરાવતા હતા તે દરમ્યાન તા. 6 મે થી 11 સપ્ટેમ્બર 2019 દરમ્યાન મોટા વરાછા લજામણી ચોક સ્થિત ગોપીનાથ નગર 2 ના બી 154માં ઓફિસ ધરાવતા દવા વેપારી હર્ષદ હરીભાઇ વેકરીયાને ટુક્ડે-ટુક્ડે રૂા. 9.74 લાખની દવા સપ્લાય કરી હતી અને આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી વાયદા પર વાયદા કરતા હતા.
જેથી ગત રોજ પુષ્પાબેન, તેમની પુત્રી રીતુ (ઉ.વ. 22) અને પુત્ર યગ્નેશ (ઉ.વ. 26) સાથે હર્ષદ વેકરીયાની ઓફિસે ઉઘરાણીએ ગયા હતા. પરંતુ હર્ષદ તેની ઓફિસમાં હાજર ન હતો અને તેની ઓફિસના કર્મચારી આશિષ શાંતીભાઇ ઠુમ્મર (ઉ.વ. 32 રહે. રૂષિકેશ રેસીડન્સી, અમરોલી) એ હર્ષદભાઇ અમદાવાદ ગયા હોવાનું જણાવ્યું હતું. આ અરસામાં યગ્નેશ પાણીની બોટલ લેવા દુકાને ગયો હતો તે દરમ્યાન આશિષ પુષ્પાબેન અને રીતુને ઓફિસમાં ગોંધીને ચાલ્યો ગયો હતો.