ગુજરાત
News of Friday, 13th November 2020

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ : ધોળે દિવસે બંધ મકાનમાંથી રૂપિયા 3.22 લાખની ચોરી

તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ

અંકલેશ્વરમાં ધોળા દિવસે તસ્કરોએ મકાનમાંથી રૂપિયા 3.22 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ બપોરના સમયે ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. અંકલેશ્વરમાં રૂ. 3 કરોડની લૂંટનું પગેરું હજુ નથી મળી શક્યું ત્યારે તસ્કરો એક બાદ એક મકાનને નિશાન બનાવી ચોરી કરી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બંધ મકાનમાંથી ધોળે દિવસે તસ્કરો રૂ. 3.22 લાખની માલ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

  આ અંગેની વિગત મુજબ અંકલેશ્વર જીઆઈડીસીની શ્યામ સુંદર રેસીડન્સીના મકાન નંબર બી-102માં રહેતા ડેનીસ પટેલ તથા તેમના પત્ની બંને નોકરી કરતા હોવાથી મકાન બંધ કરીને ગયા હતા. તે દરમિયાન બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધીના ગાળામાં તસ્કરો ત્રાટક્યા હતા અને સાથે જ આવેલા મકાન નંબર બી-101ને પણ નિશાન બનાવ્યું હતું. તસ્કરો બંને મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂ. 3.22 લાખની ચોરી કરી ફરાર થયા હતા. બનાવની જાણ સાંજે 6 વાગ્યે ડેનિસ પટેલના પત્ની શ્રુતિ પટેલને થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે.

(10:28 am IST)