ગુજરાત
News of Wednesday, 13th November 2019

બનાસકાંઠાના સરહદી વિસ્‍તરો વાવ, સુઇગામ, ભાભર, થરાદમાં નર્મદાની કેનાલો ખેડૂતો માટે આશિર્વાદ નહીં પણ અભિશાપ

બનાસકાંઠા :બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ, ભાભર અને થરાદમાં નર્મદાની કેનાલો ખેડૂતો માટે આશીર્વાદ નહિ, પણ અભિશાપ બની જતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. કેનાલોમાં વારંવાર ગાબડાં પડતા તેમજ કેનાલોની સાફ સફાઈ અને મરમત ન થતાં ખેડૂતોને આ કેનાલ કોઈ કામની રહી નથી, જેને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

                   બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલો આવતા ખેડૂતોએ અનેક સપના જોયા હતા. કેનાલોના પાણીના કારણે સૂકોભઠ સરહદી વિસ્તાર લીલોછમ અને હરિયાળો બની જશે તેવું ખેડૂતોને લાગતું હતું. પરંતુ એકબાજુ કેનાલોનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને મળતું નથી, તો બીજી બાજુ કેનાલો વારંવાર તૂટી જવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. તો નર્મદાની માયનોર અને ડિસ્ટ્રીબ્યુટ કેનાલોની સાફ સફાઈ ન થવાના કારણે કેનાલોમાં રેતી ભરાઈ ગઈ છે. તો બીજી તરફ, ઝાડી ઝાંખરા ઊગી જવાથી સૂઇગામના લીંબોળી ગામના ખેડૂતો પોતાની ખેતીનું કામ છોડીને જાતેજ કેનાલો સાફ કરવા મજબૂર બન્યા છે.

                       બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલોથી નર્મદા નિગમ દ્વારા સફાઈ ન થતા ખેડૂતો જાતેજ કેનાલો સાફ કરી રહ્યા છે. એક બાજુ હલકી ગુણવત્તાના કારણે અનેકવાર કેનાલો તૂટી જવાના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, તો બીજી બાજુ શિયાળુ પાક માટે પાણી ન છોડતા ખેડૂતોનો પાક સૂકાઈ રહ્યો છે. મોંઘું ખાતર અને મોંઘુ બિયારણ લાવીને દેવું કરીને ખેડૂતોએ નર્મદા કેનાલનું પાણી તેમને સિંચાઈ માટે મળશે તેવી આશાએ પાકનું વાવેતર કર્યું હતું, પણ પાણી ન મળતાં અને કેનાલો સાફ ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જેથી ખેડૂતો હવે જો પાણી નહિ મળે તો ઉગ્ર આંદોલન અને ખેતી છોડવાની વાત કરી રહ્યા છે.

                       આ મામલે સૂઈગામના ખેડૂતોએ જણાવ્યું કે, સરહદી વિસ્તારના ખેડૂતો કેનાલના પાણીના આધારે ખેતી કરતા હોય છે પરંતુ હવે અમને પાણી ન મળતાં તેમની હાલત કફોડી બની છે. અનેક રજૂઆતો કરવા છતાં કંઈ પરિણામ ન આવતા હવે કેટલાય ખેડૂતો રોષે ભરાયા છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની મહેનત ક્યારે રંગ લાવે છે.

(5:08 pm IST)