મહેસાણાના કાત્યોકના મેળામાંથી ખરીદી કરીને પરત ફરી રહેલાને ટ્રકે હડફેટે લેતા એક વ્યક્તિ અને ઉંટનું મોતઃ ૩ને ઇજા
મહેસાણા: સિદ્ધપુર ખાતે ચાલી રહેલ કાત્યોકના મેળામાંથી ખરીદી કરી હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મોત બની ટ્રકે ચાર લોકો સહિત ઊંટોને ટક્કર મારી હતી. જેમાં એક ઈસમ તથા ઊંટનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. જેની વિસનગર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે.
સોમવારે કાત્યોકના મેળામાંથી ખરીદી પતાવી ફરિયાદી બાબરભાઈ રાવળ સહિત ઈસમો અને ઊંટો, લારી લઈ ઘર તરફ જઈ રહ્યા હતા. જેઓને ભાન્ડુ કોલેજ આગળના હાઈવે ઉપર મહેસાણા તરફથી આવી રહેલ એક ટ્રકે ટક્કર મારી હતી. રોંગ સાઈડમાં ટ્રક હંકારી આવી રહેલ ડ્રાઈવરે ઊંટ લારીને જીવલેણ ટક્કરથી ફંગોળી મુકી હતી. આ ગમખ્વાર અકસ્માતથી ઊંટનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે રાવળ શકરાભાઈ ગાંડાભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. અને રાવળ લીલાભાઈ છગનભાઈ, રાવળ દિનેશભાઈ જીવાભાઈ તથા રાવળ બાબરભાઈ જીવાભાઈ રહે.અગોલ, રાવળવાસ, કડીવાળાઓને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બન્યા બાદ લોકો આવી પહોંચી પોલીસને જાણ કરી હતી. વિસનગર તાલુકા પોલીસે ટ્રક નં RJ-32-GA-5514ના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.