ગુજરાત
News of Tuesday, 13th November 2018

'જો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઇચ્છે તો નામ બદલીને કર્ણાવતી થઇ શકે'

જો રાજ્ય સરકાર ઇચ્છે તો તે કોઇપણ માર્ગ, ગામ અથવા શહેરનું નામ CM દ્વારા લખાયેલા પત્રમાં ગૃહ મંત્રાલયને મોકલી શકે છે

નવી દિલ્હી તા. ૧૩ : અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા પર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં જ યુપીના CM યોગી દ્વારા ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું. તો રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થાય તેવી ઈચ્છા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમાં કેટલાક કાયદાકીય અવરોધો શામેલ છે. જોકે સૂત્રો મુજબ સરકારે આ સમસ્યા માટે કાયદાકીય સલાહ લીધી છે અને જો કેન્દ્ર અને રાજય સરકાર ઈચ્છે તો કોઈપણ કાયદાકીય અવરોધો તેમને રોકી નહીં શકે. ગુજરાતમાં બીજેપીની સરકાર દ્વારા પાછલા ત્રણ દસકાથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થાય તેવો વાયદો કરવામાં આવ્યો હતો અને પાર્ટીના પત્રો પર પણ તેઓ કર્ણાવતી લખે છે.

રાજય સરકારના ખાસ સૂત્રોએ જણાવ્યું કે, યુપીમાં નામ બદલ્યા બાદ અને રૂપાણીને અમદાવાદમાંથી કર્ણાવતી નામ કરવા પર કાયદાકીય બાબતો ધ્યાનમાં લેવાઈ રહી છે. શહેર કે રાજયનું નામ બદલવા માટે કોઈ બંધારણીય કે કાયદાકીય અવરોધ નથી. જો રાજય સરકાર ઈચ્છે તો તે કોઈપણ માર્ગ, ગામ અથવા શહેરનું નામ CM દ્વારા લખાયેલા પત્રમાં ગૃહ મંત્રાલયને મોકલી શકે છે. આ પ્રપોઝલને ગૃહ મંત્રાલય ગૃહ, આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ, રેલવે અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ જેવા સંબંધિત ડિપાર્ટમેન્ટને તેમના મત જણાવવા માટે મોકલે છે. જો આ ડિપાર્ટમેન્ટને કોઈ વાંધો ન હોય તો કેન્દ્ર નામ બદલવા માટે નોટિફિકેશન જાહેર કરી શકે છે. આ માટે વિધાનસભામાં બિલ પાસ કરવાની પણ જરૂર નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ થોડા વર્ષો પહેલા આ પ્રપોઝલ મોકલવામાં આવ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારે તેને સ્વીકાર્યું નહોતું. આ મુખ્ય રૂપે રાજકીય મુદ્દો છે. જો રાજય અને કેન્દ્ર સંમત છે તો કોઈ કાયદાકીય અવરોધ નથી આવતા. જોકે અહીં એક પ્રોબ્લેમ વર્લ્ડ હેરિટેજ સિટીના ટેગનો છે. જો સરકાર બરાબર તૈયારી કરીને નામ બદલશે તો આ ટેગ નવા નામ પછી પણ જળવાઈ રહેશે.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ફરીથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માગણી કરી છે. VHPના સેક્રેટરી અશોક રાવલે જણાવ્યું કે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિરોધ કરી રહેલા લોકોને અમે ચેતવણી આપીએ છીએ. અમે મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી દ્વારા અમદાવાદનું નામ બદલવાની જાહેરાતનો સ્વીકારીએ છીએ. VHP ૧૯૮૦થી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માગણી કરી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસ પ્રેસિડેન્ટ અમિત ચાવડાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જાહેરાત પર પોતાની પ્રતિક્રિયા આપતા સોમવારે કહ્યું કે, ભાજપ આપણા ઈતિહાસને ખરાબ કરીને લોકોની લાગણી સાથે રમી રહી છે. અમદાવાદનું નામ બદલીને આશાવલ કરવાની માગણી પણ ઉઠી હતી. પરંતુ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ આવા મુદ્દાઓ ઉછાળીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે.

(12:03 pm IST)