ગુજરાતના રાજયપાલ સાથે રાષ્ટ્રપતિ કોવિંદે વડાપ્રધાનના માતા હિરાબાના આશિર્વાદ મેળવ્યા બંનેને હિરાબાએ ગાંધી ચરખો, ખાદીની શાલ અને ગીતાજીની ભેટ આપી
ગાંધીનગર :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની મુલાકાત લીધી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિએ રાયસણ જઈને હીરાબાના આશીર્વાદ લીધા હતા. રાષ્ટ્રપતિએ અડધા કલાકથી પણ વધુ સમય હીરાબા સાથે વિતાવ્યો હતો. હીરાબા સાથેની મુલાકાત સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રાષ્ટ્રપતિની સાથે હાજર રહ્યા હતા. જેના બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોબા જવા રવાના થયા છે. અહીં તેઓ જૈન દેરાસરની મુલાકાત લઈ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ મેળવશે. તો સાથે જ રાષ્ટ્રપતિ કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિરની મુલાકાત પણ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાનો આજનો કાર્યક્રમ પૂર્ણ કરીને આજે બપોરે અમદાવાદથી દિલ્હી જવા રવાના થઈ જશે.
રાષ્ટ્રપતિએ જ્યારે હીરાબાના આશીર્વાદ લીધા હતા, તો હીરાબાએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ભેટ સ્વરૂપે તેઓને ગાંધી ચરખો, ખાદીની સાલ અને ગીતાનું પુસ્તક આપ્યું હતું. .તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે હીરાબાનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતુ. રાષ્ટ્રપતિએ અડધા કલાકથી પણ વધુ સમય હીરાબા સાથે વિતાવ્યો હતો, જેમાં તેઓએ હીરા બા સાથે કેટલીક ચર્ચા કરી હતી.