આણંદમાં નજીવી બાબતે રીસ રાખીને રીક્ષા ચાલક સહીત ત્રણને માર મારતા પોલીસ ફરિયાદ
આણંદ: શહેરના એકતા પરિવાર ઠાકોરજી નગર પાસે ગઈકાલે રાત્રીના સુમારે પાણીના છાંટા ઉડવાની બાબતેની રીસ રાખીને ચાર શખ્સોએ લાકડીઓથી રીક્ષાચાલક સહિત ત્રણને માર મારતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી યોગેશભાઈ મફતભાઈ સરગરા ગત ૯મી તારીખના રોજ સાંજના સુમારે પોતાની રીક્ષા લઈને જઈ રહ્યો હતો ત્યારે પાણીના છાંટા ઉડવા બાબતે અમીતભાઈ વસાવા, અશોકભાઈ વસાવા, ગવાભાઈ તથા અજયભાઈ સાથે બોલાચાલી થઈ હતી જે અંગે સમાધાન પણ થઈ ગયું હતુ. પરંતુ ગઈકાલે રાત્રીના સુમારે યોગેશભાઈના ઘેર ચારેય જણા લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને પાણીના છાંટા કેમ ઉડાડ્યા હતા તેમ જણાવીને ગાળો બોલી અમિતે પોતાની પાસેની લાકડી માથામાં મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. જ્યારે અશોકે જમણા હાથે લાકડીનો ફટકો મારી દીધો હતો.
મંજુબેન તથા આશાબેન વચ્ચે છોડાવવા પડતાં તેઓને પણ ગડદાપાટુુનો માર માર્યો હતો. દરમ્યાન આસપાસના લોકો એકત્ર થઈ જતા ચારેય જણાએ આજે તો બચી ગયા છો, પરંતુ ફરીથી જીવતા નહીં મુકીએ તેવી ધમકીઓ આપી હતી.