ગુજરાત
News of Thursday, 13th September 2018

વિશ્વના સૌથી કિંમતી-દુલર્ભ ગણેશજીઃ સાચા હિરામાં સુરતમાં બિરાજમાન છે દુંદાળા દેવ

૧૨ વર્ષ પહેલા સુરતના હિરાના વેપારીને રફ ડાયમંડની ખરીદી વખતે આફ્રિકાની ખાણમાંથી મળ્યા હતાઃ હિરામાં બિરાજીત પ્રાકૃતિક ગણેશ ભગવાન

અમદાવાદ તા.૧૩: ગણેશજીની પ્રતિમાનું મુલ્ય કેટલી આંકી શકો? હજારોમાં અને ખુબ ભવ્ય હોય તો લાખોમાં પરંતુ કરોડોમાં તો કલ્પના પણ ન થઇ શકે પણ સુરતમાં એક હિરાવેપારી પાસે એવી પ્રતિમા છે જેની કિંમતની કલ્પનાનો વિચાર પણ ભાગ્યે જ આવે. ઓરીજીનલ રફ ડાયમંડની પ્રાકૃતિક ગણેશની આ ટ્રાન્સફર પ્રતિમાની કિંમત તેમના જણાવ્યા અનુસાર ૫૦૦ કરોડ જેટલી આંકવામાં આવી છે. ૨૭.૭૪ કેરેટના ડાયમંડ ગણશનો સુરતી ગણેશભકતોને આ ગણેશ ઉત્સવમાં દર્શનનો લ્હાવો પણ મળશે.

'૧૨ વર્ષ પહેલા રફ ડાયમંડની ખરીદી વખતે મારા હાથમાં કિસ્મત લાગી ગઇ હતી. રફ ડાયમંડમાં ગણેશજીની આકૃતિ દેખાતા મેં ખુબ શ્રધ્ધાભાવ સાથે ગણેશની પ્રાકૃતિક ડાયમંડની પ્રતિમાને ખરીદી લીધી અને કાયમ માટે મંદિરમાં મુકી દીધી' સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારના વેપારીએ આ શબ્દો કહયા હતા. શ્રધ્ધાના વિષયમાં પુરાવાની જરૂર નથી હોતી તેમ છતાં નરીઆંખે દેખાઇ એ ખરી હકિકત છે.

ગજરાજ સમુ મસ્તક, જમણી સુંઢ, બે હાથ, બે પગ વચ્ચે, જગ્યા, ડાબી બાજુમાં એકદંતના દર્શન પણ થાય છે. ૨૪.૧૧ મીલીમીટર ઉંચાઇ અને ૧૬.૪૯ પહોળાઇ ધરાવતા શ્રીજીના કલર યલો ગ્રે પ્રકારનો છે. આ પ્રતિમાને આઇડીઆઇ જેમ ટેસ્ટીંગ લેબોરેટરી દ્વારા નેચરલ ડાયમંડ તરીકનું સર્ટીફિકેટ મળ્યું છે. તો સ્પાર્કલમાં તેને 'રાઇટ ટ્રન્ક નેચરલ ટ્રાન્સપ્રન્ટ ડાયમંડ વેઇટ ૨૭.૭૪' નું સર્ટીફીકેટ એનાયત કરાયું છે. આફ્રિકાની કોંગો કન્ટ્રીની મ્બુઝીમાઇનનો આ ડાયમંડ છે. હાલ જયારે ગણેશ ઉત્સવના શ્રી ગણેશ થયા છે. ત્યારે સુરતની આ દુલર્ભ અને અનમોલ ગણેશની રફ ડાયમંડની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ હિરાની કિંમતની આંકણી કઇ રીતે?

હિરા રત્નજડિત ગણેશજીની પ્રતિમાઓ ગણેશ ઉત્સવમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. પણ કિંમતની દ્રષ્ટીએ જોઇએ તો આ રફ ડાયમંડ પ્રાકૃતિક અને પારદર્શક ગણેશજીની પ્રતિમાની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. હિરાના મુલ્યમાં તેના પારદર્શીકતાનું ખુબ મહત્વ છે. આ હિરા આખો જ પારદર્શક હોવાથી તેનું મુલ્ય એ રીતે પણ વધી જાય છે.

(3:58 pm IST)