અમદાવાદમાં પ્રાઇવેટ ઇન્સ્યોરન્સના ડિવીઝનલ મેનેજર કૃણાલ ત્રિવેદીનો પત્નિ કવિતા અને ૧૬ વર્ષની પુત્રી શ્રીન સાથે આપઘાતઃ સામુહિક આપઘાત માટે નાણાકીય કટોકટી કે અન્ય કોઇ કારણ ? તપાસનો ધમધમાટ
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં ત્રણ વ્યક્તિના આખા પરિવારે આત્મહત્યા કરી જીવન ટુંકાવી લીધાની ઘટના સામે આવી છે. આત્મહત્યા કરનારમાં પતિ પત્નિ અને તેમની સગીર વયની દીકરીનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ કુનાલ ત્રિવેદી(50), તેમની પત્ની કવિતા ત્રિવેદી(45) અને તેમની સગીર દીકરી શ્રીન ત્રિવેદી(16) થઈ છે.
નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી. વાઘેલાના જણાવ્યા અનુસાર પરિવાર નરોડા ખાતે આવેલ હરિદર્શન ક્રોસ રોડ પાસેના અવની ફ્લેટમાં રહેતો હતો. સૂત્રો મુજબ કુનાલ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીમાં ડિવિઝનલ મેનેજર તરીકે કામ કરતા હતા. તેમણે પહેલા પોતાની પત્ની અને દીકરીને ઝેર આપી દીધું હતું અને પછી પોતે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને આત્મહત્યા માટે જવાબદાર કારણ અંગે કોઈ કળી ન મળવાથી ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમને પણ બોલાવવામાં આવી હતી જેથી સમગ્ર પરિવારની આત્મહત્યાના કેસમાં વધુ જાણકારી મળી શકે. મૃતકો કોઇપણ જાતની સ્યુસાઇડ નોટ છોડીને ગયા હોય તેવું પ્રથમિક ધોરણે મળી આવ્યું નથી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવાર થોડી નાણાંકીય વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ આ અંતિમવાદી પગલું ભરવા માટે પરિવારને શા માટે મજબૂર બનવું પડ્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી મળી આવ્યું નથી. મૃતકોના શરીરને પોસ્ટમોર્ટમ માટે આસરવા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.