ધંધુકા-રાણપર રોડ ઉપર વૃક્ષ સાથે કારની ટક્કરઃ અમદાવાદના ૨ વ્યકિતના મોત
ધંધુકા, તા. ૧૨ :. ઈનોવા ગાડી રાણપુરથી અમદાવાદ જઈ રહી હતી. આ ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર ચાલકે ચલાવતા ધંધુકા જીઆઈડીસી નજીક રોડ સાઈડમાં આવેલા ઝાડ સાથે મોડી રાત્રીના અથડાવી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈનોવા ગાડી ચાલક ગીરીશ જેરામભાઈ મકવાણા (ઉ.વ. ૩૭, વેજલપુર-અમદાવાદ) તથા તેની બાજુમાં બેઠેલા કનૈયાલાલ ખોડાભાઈ મકવાણા (ઉ.વ. ૪૭, રહે. અમદાવાદ)ને ગંભીર ઈજા થતા બન્નેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતા પો.સ.ઈ. રાણા તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો તથા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોને પી.એમ. માટે ધંધુકા રેફરલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જ્યાં પી.એમ. કરવામાં આવ્યુ હતું.
રાણપુરના પ્રકાશ કેશવલાલ મકવાણા રહે. મેઘાણીનગર રાણપુરનાએ કાર ચાલક ડ્રાઈવર વિરૂદ્ધ ધંધુકા પો. સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. તપાસ પો.સ.ઈ. રાણા ચલાવી રહ્યા છે.(૨-૨૦)