ગુજરાત
News of Wednesday, 12th September 2018

રૂપાણીને રજૂઆત કરવા માટે પહોંચેલ પત્રકારોની અટકાયત

પત્રકારો સાથે પોલીસનો અપમાનજનક વ્યવહાર : પત્રકાર આલમમાં પ્રત્યાઘાત : સરકાર તેમજ પોલીસના અસહકારભર્યા વલણની પત્રકાર જગતમાં જોરદાર નિંદા

 અમદાવાદ,તા.૧૧ : હાર્દિક પટેલને હોસ્પિટલથી ઘરે લઈ જતી વખતે તેનું કવરેજ કરતાં પત્રકારો સાથે પોલીસના અપમાનજનક અને ઘૃણાસ્પદ વ્યવહારનો વિરોધ નોંધાવવા અને સરકારની અખબારી નીતિને યોગ્ય રજૂઆત કરવા માટે આજે સેંકડો પત્રકારો અને વિવિધ અખબારના તંત્રીઓ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસે તે પહેલાં જ પત્રકારો અને વિવિધ અખબારોના તંત્રીઓની અટકાયત કરી લેતાં મામલો વણસ્યો હતો અને જોરદાર હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને લઇ સમગ્ર પત્રકાર આલમિમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને રાજય સરકાર અને પોલીસના અસહકારભર્યા વલણની પત્રકાર જગતમાં ભારોભાર નિંદા થઇ હતી. જેનો વિરોધ નોંધાવવા માટે આજે તંત્રીઓ અને પત્રકારો સ્વર્ણિમ સંકુલ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે સચિવાલય પાસેથી જ તેમની અટકાયત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવા જતાં પત્રકારોની અટકાયત કરાતાં મીડિયામાં રોષ જોવા મળ્યો હતો.  સ્વર્ણિમ સંકુલ-૧માં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવા જઈ રહેલા પત્રકારોને પોલીસે ધક્કામુક્કી કરી ફરી એકવાર હડધૂત કર્યા હતા અને તેઓની ખોટી રીતે અટકાયત કરી હતી. ૩૦૦ જેટલા નાનામોટા અખબારોના તંત્રી, પત્રકારો અને અને ચેનલોના પ્રતિનિધિઓની સાથે પોલીસ દ્વારા અપમાનજનક દુર્વ્યવહાર કરવામાં આવતાં પત્રકાર આલમે આ ઘટનાને  લોકશાહીના હનન સમાન ગણાવી તેને વખોડી કાઢી હતી. પત્રકાર આલમ તરફથી મુખ્યમંત્રીને ઉદ્દેશીને માંગણી કરાઇ છ ેકે, હાર્દિકની ઉપવાસ છાવણીએ કવરેજ કરવા ગયેલા પત્રકારો, ફોટોગ્રાફર અને મીડિયાપર્સન સાથે પોલીસ દ્વારા અપમાનજનક દુર્વ્યવહારની આ ઘટના નવી નથી, અગાઉ પણ પોલીસે આ પ્રકારના ગંભીર અને ઘૃણાસ્પદ વર્તનો કરેલા છે, તેથી સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ આ પ્રકરણમાં જે કોઇ કસૂરવાર પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ હોય તેમની સામે તાત્કાલિક કાયદાનુસાર કાર્યવાહી કરવી જોઇએ. ગુજરાતની અસ્મિતા માટે અને દેશની લોકશાહી માટે મીડિયા મુકતપણે કામ કરી શકે તેવું વાતાવરણ સર્જો. ગુજરાત સહિત દેશભરમાં આજે પત્રકારો-તંત્રીઓ સાથે થયેલા અપમાનજનક વ્યવહારની ભારોભાર નિંદા થઇ હતી.

(8:18 pm IST)