માંદગી સહાય પેટે ૧૫ લાખ ચુકવવા નિર્ણય
એડવોકેટ માટે મહત્વપૂર્ણ નિર્ણય
અમદાવાદ,તા.૧૩ : બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા રાજ્યના ૮૧ જેટલા વકીલો ને કોરોના સહીતની માંદગી પેટે ૧૫ લાખ રુપિયા ચુકવવાનો નિર્ણય આજે મળેલ માંદગી સહાય સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એડવોકેટ વેલફેર ફંડ મારફતે મૃત્યુ સહાય તેમજ માંદગી સહાય સમિતિ દ્વારા જરુરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બારકાઉન્સીલ ઓફ ગુજરાત તરફ થી આપવામાં આવે છે.માંદગી સહાય સમિતિના ચેરમેન દીલીપ પટેલ અને સભ્ય અનિલ કેલ્લા અને કિશોરકુમાર ત્રિવેદીની મળેલી બેઠકમાં રાજ્યના તમામ તાલુકા અને જીલ્લા અદાલતોમાંથી આવેલી કોરોના માંદગી સહાય અરજી પર વિચારણા કરી ૮૧ જેટલા એડવોકેટોને સહાય પેટે ૧૫ લાખ ચુકવવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે ૧૫ ઉપરના ધારાશાસ્ત્રીઓ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં ભલામણ કરવામાં આવી છે.બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુસહાયકનું ફંડ અને માંદગી સહાય ફંડની અલગ જોગવાઇ છે.રીન્યુઅલ ફી ભરનારને માંદગી સહાય પેટે રકમ અપાય છે.તે વધુમાં વધુ ૯૦ હજાર સુધીની તેમજ ગુજરાત એડવોકેટ વેલફેરફંડ હેઠળ મૃત્યુપામનારના વારસદારને ૩,૫૦,૦૦૦ સુધીની સહાય કરાય છે.છેલ્લા પાંચ વર્ષમાં માંદગી સહાય પેટે સાડા ત્રણ કરોડ જેટલી રકમ ચુકવાઇ છે.