ગુજરાત
News of Monday, 13th July 2020

ડીઇઓની સૂચના બાદ વડોદરાના પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની સી.કે. પ્રજાપતિ વિદ્યાલયમાં ફરીથી ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ

વડોદરા: પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની સી.કે.પ્રજાપતિ વિદ્યાલયમાં ઓન લાઈન શિક્ષણ ફરીથી શરૂ કરાયું છે. વાલીઓએ ફી ન ભરતા શાળાનું ઓનલાઈન શિક્ષણ બંધ કરાયું હતું. ડી.ઈ.ઓની સૂચના બાદ શાળા દ્વારા ફરીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે.

જો કે અનેક ખાનગી શાળાઓ એફ.આર.સી કરતા વધુ ફી વસૂલી રહી છે. ત્યારે આવી ખાનગી શાળાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી વાલીઓની માંગણી છે.

શું છે મામલો?

વડોદરામાં પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ દીધુ હતું. વાલીઓ ફી ન ભરતા હોવાનું જણાવી તેમની સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામા આવ્યું હતું. સ્કુલના ટ્રસ્ટીએ ડીઈઓને પત્ર લખી આ અંગે ખુલાસો આપ્યો હતો. જેમાં ઉલ્લેખ કર્યો કે, વાલીઓ ફી ભરશે તો જ 1 ઓગસ્ટથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે.

દલસુખ પ્રજાપતિ હાલ માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં દલસુખ પ્રજાપતિની સ્કુલ સી. કે. પ્રજાપતિ કાર્યરત છે. ત્યારે આ સ્કૂલે ઓનલાઇન શિક્ષણ બંધ કરતા હોબાળો મચ્યો હતો. આ અંગે સવાલ કરતા તેઓએ મીડિયાને જણાવ્યું કે, વાલીઓ ફી નથી ભરતા એટલે ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. સ્કૂલના 100 થી વધુ શિક્ષકોને છુટા કર્યા છે. સરકારે વાલીઓને રાહત આપવી જોઈએ. સરકાર નક્કર નિર્ણય નથી લઈ રહી. શાળા સંચાલકોને પગાર કરવાના કે બિલ ભરવાના રૂપિયા પણ નથી. તો અમે ઓનલાઈન શિક્ષણ કેવી રીતે ચલાવીએ.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે દેશભરની શાળાઓ બંધ છે. તેથી સરકારે ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવ્યું છે. પરંતુ વાલીઓ લાંબા સમયથી શાળાઓ બંધ હોવાથી ફી માફીની માંગ કરી રહ્યાં છે. આવામાં સરકાર દ્વારા હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. તો બીજી તરફ, સ્કૂલ સંચાલકો પણ મૂંઝવણમાં મૂકાયા છે. 

(4:44 pm IST)