અમદાવાદના નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સ્ટીટ્યુટની ફી મુદ્દે દાદાગીરીઃ ફી ના ભરી શકતા હો તો ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ કેમ લીધો ? વાલીઓને પ્રશ્ન પૂછી નાખ્યો
અમદાવાદ: અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની દાદાગીરી સામે આવી છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના વાલી પર ફી ભરવા બાબતે દબાણ કરવામાં આવ્યું. 'ફી ના ભરી શકતા હોવ તો કેમ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો' એવું કહી વાલીઓ સામે સંચાલકો દાદાગીરી કરી રહ્યાં છે.
આ મામલે વાલીઓએ ઇન્સ્ટિટ્યૂટ પર પહોંચી વિરોધ કર્યો. લુહારી કામ કરતા વિદ્યાર્થીનીના પિતાએ ઇન્સ્ટિટ્યૂટથી ફી ભરવા સમય માગ્યો છતાંય સપ્ટેમ્બર પહેલા 65 હજાર રૂપિયા ફરજીયાત ભરવા માટે કહેવામાં આવ્યું. પિતાની આર્થિક સ્થિતિ અને ઇન્સ્ટિટ્યૂટની દાદાગીરી અને ફી ભરવાના દબાણથી પરેશાન થઈ વિદ્યાર્થીનીએ કહ્યું કે હવે મારે અભ્યાસ જ નથી કરવો.
મળતી માહિતી મુજબ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફી ભરવા દબાણ કરીને કહેવામાં આવ્યું કે પૂરી ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવા દઈએ. આખરે ઇન્સ્ટિટ્યૂટની જોહુકમી સામે વાલીઓએ પોતે મેદાનમાં આવવું પડ્યું.