વડોદરાની સયાજી હોસ્પિટલમાં કાચા કામના કેદીએ પોલીસને ધક્કો મારી દોડ મૂકી
વડોદરા:શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો કાચા કામના કેદી જાપ્તાના પોલીસ જવાનને ધક્કો મારી પલાયન થતાં પોલીસ તંત્રમાં કેદીને શોધવા દોડધામ મચી હતી. મોડી સાંજ સુધી કેદીનો કોઈ પત્તો નહી લાગતા કેદી ફરાર થવાની ઘટનામાં જવાબદાર ત્રણ પોલીસ જવાનો સામે રાવપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો.
શહેરના ડભોઈરોડ પર રહેતા જયંતીભાઈ રાઠવા વડોદરા પોલીસ મુખ્ય મથકમાં આર્મ એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. આજે સવારે નવ વાગે તે અલગ અલગ પોલીસ મથકના અન્ય છ પોલીસ જવાનો સાથે સેન્ટ્રલ જેલમાંથી કુલ છ કેદીઓને લઈને તેઓને સારવાર કરાવવા માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ છ કેદીઓ પૈકી મનોજ પરમાર અને પ્રિયકાન્ત ઉર્ફ ભયલુ કિશોર સોલંકીને જવાહરનગર પોલીસ મથકમાંથી આવેલા જાપ્તાના એલઆરડી અનિરુધ્ધસિંહબબુભા ગોહીલ તેમજ સમા પોલીસ મથકના બંસરીબેન મહેશભાઈ અને કારેલીબાગ પોલીસ મથકના મેનાબેન જોધાભાઈને સોંપાયો હતા. આ પૈકી મનોજ પરમારની દાંતની સારવાર કરાવીને બંને મહિલા પોલીસે તેને લઈને પરત ફરી હતી જયારે અનિરુધ્ધસિંહ કાચાકામના કેદી પ્રિયકાન્તને આરએમઓ પાસે લઈ ગયો હોઈ અન્ય જવાનો આ બંનેની રાહ જોતા હતા.