આણંદ તાલુકાના રામનગર ખાતે બાઈક અથડાતા થયેલ તકરારમાં બે ને ગંભીર ઇજા
આણંદ:તાલુકાના રામનગર ખાતે આવેલા કાળકા માતાવાળા ફળિયામાં ગઈકાલે સવારના સુમારે ખાટલાને બાઈક અથડાવા બાબતે તકરાર થતાં બેને ઈજાઓ થવા પામી હતી. આ અંગે વાસદ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દિનેશભાઈ મનુભાઈ ચૌહાણ ગઈકાલે સવારના સુમારે પોતાનું બાઈક લઈને ઘરેથી નોકરી પર જવા નીકળ્યો હતો. દરમિયાન રસ્તામાં મહેશભાઈ જગદીશભાઈ ચૌહાણે ઢાળેલા ખાટલાને બાઈક અડી જતાં મહેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને નજીકમાં પડેલું લાકડાનું બેટ ઉઠાવીને દિનેશભાઈને માથામાં મારી દીધું હતુ. બૂમાબૂમ થતાં ભરતભાઈ, શનાભાઈ રાયસીંગભાઈ ચૌહાણ અને સોનાબેન પુનમભાઈ ચૌહાણ આવી ચઢ્યા હતા અને લાકડીથી માર મારીને ડાબા ખભા, ડાબી બાજુના કમરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.