તારાપુરમાં વિધવાના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર કેરોસીન છાંટતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
તારાપુર:ખાતે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે વિધવાના એક તરફી પ્રેમમાં પાગલ વિધર્મી યુવાને ઘરમાં ઘુસીને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળતાં આખરે કેરોસીન છાંટીને જીવતી સળગાવતા ગંભીર હાલતમાં તેણીને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ અંગે તારાપુર પોલીસે હાલમાં તો જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુરના મોટા તળાવ પાસે આવેલા વાઘરીવાસમાં રહેતી એક ૩૩ વર્ષીય વિધવાને છેલ્લા કેટલાક સમયથી ઈમરાન નામનો શખ્સ એક તરફી પ્રેમ કરતો હતો. વારેઘડીએ તેણીને પોતાની સાથે સંબંધ રાખવા માટે ઈમરાન તેણી પર દબાણ કરતો હતો. જો કે પરિણીતાએ મચક આપી નહોતી. દરમ્યાન ગઈકાલે રાત્રીના અઢી વાગ્યાના સુમારે ઈમરાન તેણીના ઘરમાં ઘુસી ગયો અને જબરજસ્તી કરવા લાગ્યો હતો. જો કે પરિણીતા તેણીના તાબે ના થતાં આખરે તેણી ઉપર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેતાં તેણી ભડભડ સળગવા માંડી હતી. ઘટનાની જાણ આસપાસના પડોશીઓને થતાં જ તેઓએ દોડી આવીને આગ બુઝાવી હતી અને ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરતાં ૧૦૮ની ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તુરંત જ તારાપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી.