જમાલપુર ચકલામાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલ કામદારનું ગૂંગણામણના કારણે મોત
જમાલપુર:ચકલામાં આજે વહેલી સવારે ગટરમાં સફાઈ કરવા ઊતરેલા એક સફાઈ કામદારનું ગુંગળામણ થવાથી મોત નીપજ્યું હતું. કામદારને સલામતીના પુરતા સાધનો પુરા ન પડાતા તેના સગાઓએ વીએસ હોસ્પિટલમાં દેખાવો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો અને જવાબદારો સામે તાત્કાલિક ગુનો નોંધવાની માંગણી કરી હતી. જેને પગલે ગાયકવાડ હવેલી પોલીસે દર્પણ વાલ્મિકી એજન્સીના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ બહેરામપુરામાં હેલ્થ સ્ટાફ ક્વાટર્સમાં રહેતા દલસુખભાઈ દાનાભાઈ સાવરીયા (૩૭) ૧૨ જુનના રોજ વહેલી સવારે જમાલપુર ચકલા રિયાઝ હોટેલની સામે ડ્રેનેજ ક્લિનીંગ માટે ગટરમાં ઊતર્યો હતો. જોકે ગટરમાં ગુંગળામણ થતા તે બેભાન થઈ ગયો હતો. સારવાર અર્થે તેને વીએસ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું, એમ ગાયકવાડ હવેલી પોલીસે જણાવ્યું હતું. જેને પગલે તેમા સગાસંબંધીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમણે જવાબદારો સામે ગુનો નોંધીને કર્યવાહી કરવાની જોરશોરથી માંગણી કરી હતી.