આણંદ તાલુકાના નાવલી અને લીમડાપુરાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ
આણંદ:તાલુકાના નાવલી અને સામરખા નજીક આવેલા લીમડાપુરાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારવાના ઈરાદે ભગાડી લઈ ગયાની બે અલગ-અલગ ફરિયાદો આણંદ રૂરલ પોલીસ મથકે દાખલ થતાં આણંદના સીપીઆઈએ તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર નાવલી સાથરાવાડ ખાતે રહેતી એક ૧૭ વર્ષ અને ૯ માસની સગીરાને ગત ૧૧મી તારીખના રોજ સવારના છ વાગ્યાના સુમારે ગામના લીમડીવાળા ફળિયામાં રહેતો શીવો ઉર્ફે શકો શનાભાઈ પરમાર લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો. જ્યારે બીજા બનાવમાં સામરખા રોડ ઉપર આવેલા લીમડાપુરા ખાતે રહેતી એક ૧૭ વર્ષ અને છ માસની સગીરાને ગત ૧૧મી તારીખના રોજ સવારના સાડા દશેક વાગ્યાના સુમારે મુળ દાહોદ જિલ્લાના મુણધા ગામનો પરંતુ હાલમાં આણંદ નાની ખોડીયાર ખાતે રહેતો કાંતુભાઈ રમણભાઈ પારઘી તેના મિત્રની મદદથી ભગાડી લઈ ગયો હતો.