ખેડા જિલ્લામાં અપમૃત્યુના બે બનાવમાં બે મોતને ભેટ્યા
ખેડા:જિલ્લાના જાવોલ અને નડીઆદ નજીક બનેલા બે અપમૃત્યુના બનાવમાં બેના મોત થવા પામ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના જાવોલમાં નરવતસિંહ ચંદુભાઈ ચૌૈહાણ રહે છે. ગઈકાલે સાંજે નરવતસિંહ ચૌૈહાણની પત્ની મંજુલાબેન (ઉં.વ.૩૦)એ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી હતી. જેથી આખા શરીરમાં ઝેર પ્રસરી જતાં મંજુલાબેન ચૌહાણનું પોતાના ઘરે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બુધાભાઈ મોહનભાઈ ચાવડાએ જાણ કરતા ચકલાસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં નડિયાદ રેલવે સ્ટેશનની ઉત્તરે કિમી ૪૫૦/૧ થી ૪૫૦/૩ વચ્ચે અપ લાઈન ઉપર આજે વહેલી સવારે એક અજાણ્યો પુરૂષ ઉંમર ૪૦ વર્ષનું કોઈપણ ટ્રેનની અડફેટે આવી જતાં કપાઈ જતા મોત નિપજ્યું હતું. આ અજાણ્યા પુરૂષે શરીરે આખી બાયનું લાલ સફેદ લીટીવાળું ટી શર્ટ તથા આસમાની કલરનું પેન્ટ પહેરેલ છે. તેના ડાબા હાથ ઉપર દિલમાં અંગ્રેજીમાં ડીજી કોતરાવેલ છે. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.