કેન્સરગ્રસ્ત દાનાભાઇને પાકિસ્તાનની જેલમાંથી છોડાવશો તો જ બચશે જીવઃ પરિવારજનો ચિંતિત
ગંભીર રોગમાં પણ સારવારમાં લાપરવાહી રખાતી હોવાનો સણસણતો આક્ષેપઃ માછીમારી દરમિયાન ઉપાડી જવાયા'તા
સુરત,તા.૧૩: દરિયામાં માછીમારી કરતી વખતે દરિયાઇ સીમા ઓળંગવા મામલે પાકિસ્તાની ચાંચિયા દ્વારા ઉપાડી જઇ કરાંચીની મરીનલાધી જેલમાં ધકેલી દેવાયેલા માછીમાર દાનાભાઇ અરજણભાઇ ચૌહાણની કેન્સરની સારવાર વ્યવસ્થિત રીતે નહિ થતી હોવાના સણસણતા આક્ષેપ સાથે ચિંતિત પરિવારજનોએ તુરંત ભારત લાવવા માંગણી ઉચ્ચારી છે.
આ અંગે માછીમારના પત્ની રૂડીબેન સહિતના પરિવારજનોએ સૌ પ્રથમ ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રીય સહકારી સંસ્થાના ચેરમેન વેલજીભાઇ મસાની સમક્ષ રજુઆત કરી પોતાના પતિ દાનાભાઇની કેન્સરની સારવાર પાકિસ્તાનની જેલમાં યોગ્ય રીતે નહિ થઇ રહી હોવાની ચિંતા વ્યકત કરી હતી.
આ મામલે ગંભીરતા સમજી ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રીય સહકારી સંસ્થા દ્વારા તુરંત વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પત્ર પાઠવી કેન્સર રોગ સામે લડી રહેલા દાનાભાઇની યોગ્ય સારવાર ઘર આંગણે વ્યવસ્થિત રીતે થઇ શકે એ માટે તાત્કાલિક ધોરણે ભારત લાવવા માટે સરકાર દ્વારા કાર્યવાહી આગળ ધપાવવામાં એવી માંગણી ઉચ્ચારાઇ છે.