સુરતના પુણામાં મીની લોકડાઉનનો વિરોધઃ ૧૦૦ થી વધુ વેપારીઓ રસ્તા ઉપર ઉતર્યા
રાજકોટ, તા. ૧૩ : સુરત સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી ગયા બાદ ગુજરાત સરકારે જીવન જરૂરિયાતની વસ્તુ સિવાય ની દુકાનો બંધ કરાવી છે. આગામી ૧૮મી મે સુધી આ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય સામે વરાછા ઝોનના પુણા વિસ્તારના વેપારીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ૧૦૦થી વધુ વેપારીઓ આજે રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ -દર્શન કર્યું હતું. વેપારીઓનું એવું કહેવું હતું કે અમે કોરોના ની ગાઇડ લાઇનનો અમલ સાથે ધંધો કરવા તૈયાર છીએ જેથી નાના દુકાનદારોને દુકાન ખોલવાની મંજૂરી આપવી જોઈએ.
હાલમાં નાના દુકાનદારો ની હાલત કફોડી થઈ ગઈ છે દુકાન બંધ રહેતા પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. નાના દુકાનદારો ની આર્થિક સ્થિતિ બગડી હોવાથી બાળકોની ફી, દુકાન નું ભાડું, પાલિકાનો ટેકસ, લાઈટ બિલ તથા અન્ય ખર્ચ આ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. સરકાર નાના વેપારીઓને દુકાન ચાલુ રાખવાની છૂટ આપે તેવી માંગણી વેપારીઓએ કરી છે.