હવે એક પણ જિલ્લો કોરોના વગરનો નહિઃ ગુજરાતમાં રોજ સરેરાશ ૧૬ર દર્દીઓ વધે છે
બાકાત રહેલ અમરેલી જિલ્લો પણ ઝપટમાં આવી ગયોઃ ૧૦ જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યા એક આંકડામાં
રાજકોટ તા.૧૩: ગુજરાતમાં ૧૯ માર્ચે કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયેલ. ક્રમશઃ બધા જિલ્લાઓમાં કોરોના ફેલાતો રહેલ. અત્યાર સુધી બાકી રહેલ અમરેલી જિલ્લામાં પણ હવે કોરોનાએ પગપેસારો કરી દીધો છે. જિલ્લાના ટીંબલી ગામમાં સુરતથી આવેલા એક વૃદ્ધને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત થઇ ગયા છે.
ગુજરાતમાં ૧૦ જિલ્લાઓ એવા છે જ્યાં કોરોનાના દર્દીઓ એક આંકડામાં છે. જેમાં પોરબંદર-૩, મોરબી-૨, તાપી-૨, વલસાડ -૬, નવસારી -૮, ડાંગ-૨, સુરેન્દ્રનગર -૩, દ્વારકા-૫, જુનાગઢ-૩ કેસનો સમાવેશ થાય છે. ગઇકાલ સાંજ પછીના આંકડા આજે સાંજે જાહેર થશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮,૯૦૪ દર્દીઓ નોંધાયા છે. સરેરાંશ દરરોજના ૧૬૨ દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ૩૨૦૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. ૫૩૭ના મૃત્યુ થયા છે. ૫૦૯૧ દર્દીઓની તબિયત સ્થિર છે. ૩૦ દર્દીઓ વેન્ટિલેટર પર છે.