દહેગામમાં કોરોના સંક્ર્મણ વધતા લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો
ગાંધીનગર: જિલ્લાના દહેગામ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહયું છે તો ગામડાઓમાં પોઝિટિવ કેસ બહાર આવી રહયા છે. આમ રાજયના ઘણા વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે દહેગામ શહેરના બજારોમાં ભીડ યથાવત રહેતાં લોકોને સંક્રમણનો ભંગ પણ સતાવી રહયો છે જે અંતર્ગત મામલતદાર, પોલીસ તંત્ર અને દહેગામ નગરપાલિકા તંત્ર તથા વેપારીઓની બેઠક મળી હતી. જેમાં તા.૧૩થી ૧૮ એપ્રિલ સુધી સવારે છ વાગે દુકાનો ખોલી અને સાંજે ચાર વાગ્યે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તમામ પ્રકારના વ્યવસાયને બંધ રાખવાનું નક્કી કરાયું છે. દવાખાના, હોસ્પિટલ તથા મેડીકલ સ્ટોર ર૪ કલાક ખુલ્લા રાખી શકાશે. તો દુધની ડેરીને રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી છે. આ નિર્ણયનો ભંગ કરનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારબાદ પણ સંક્રમણની પરિસ્થિતિ યથાવત રહેશે તો સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવાની પણ વિચારણા તંત્ર દ્વારા કરાશે.