વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દાદાની સારવાર અર્થે ગયેલ પરિવારના મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહીત રોકડની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ
વડોદરાઃ : શહેરના કારેલીબાગ વિસ્તારમાં દાદાની સારવાર માટે રોકાયેલા પરિવારના મકાનમાં ધોળે દિવસે ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા.
કારેલીબાગના સ્કાય હાર્મની એપાર્ટમેન્ટમાં રહેતા વિશ્વેશ જોશીએ પોલીસને જણાવ્યું છે કે,ભવાની સોસાયટીમાં રહેતા દાદાને કિડનીની તકલીફ થતાં તેમની સારવાર માટે અમે લોકો ભવાની નગર સોસાયટીમાં રોકાયા હતા.
આ દરમિયાન મારો ભાઈ અને મારી માતા સ્કાય હાર્મની એપાર્ટમેન્ટના ફ્લેટમાં સવાર સાંજ પૂજા પાઠ કરવા આવતા હતા. ગઈકાલે સવારે પૂજા કર્યા બાદ તેઓ ફ્લેટ બંધ કરી સાંજે ફરીથી પૂજા કરવા માટે ગયા ત્યારે મકાનનું તાળું તૂટેલું હતું.
તપાસ કરતા ચોરો મકાનમાં ત્રાટકીને તિજોરીનુ તાળું તોડી સોનાના છ તોલા ઉપરાંત દાગીના અને ચાંદીના દાગીના મળી કુલ રૃા. દોઢ લાખ ઉપરાંતની કિંમતની ચીજ વસ્તુઓ ચોરી ગયા હતા.કારેલીબાગ પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.