ગુજરાત
News of Tuesday, 13th April 2021

વડોદરાના માંડવી વિસ્તારમાં પુરાતત્વ વિભાગની કચેરીમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

વડોદરા: શહેરના અત્યંત ગીચ વિસ્તારમાં આવેલી પુરાતત્વ વિભાગની કચેરીમાં આજે સવારે લાગેલી આગના બનાવના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માંડવી ચાંપાનેર રોડ પર આવેલી ભારતીય પુરાતત્વ વિભાગની કચેરી ના ત્રીજા માળે આજે સવારે કર્મચારીઓ કામ શરૂ કરે ત્યાં એસીમાંથી શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.

બનાવના પગલે ઓફિસના કર્મચારીઓ નીચે ઉતરી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઓફિસોમાં ફેલાયેલા ધુમાડા બહાર કાઢવા તેમજ બીજી તરફ આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.

ફાયર બ્રિગેડ આવે તે પહેલા એક કર્મચારી ઉપર ફસાયો હોવાથી પુરાતત્વ વિભાગના અધિકારીઓએ તેને મોઢે રૂમાલ બાંધી નીચે ઉતરી જવા જણાવતા કર્મચારી સલામત રીતે નીચે આવી ગયો હતો. જેથી બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.

(5:28 pm IST)