સુરતમાં કોરોનાનું તાંડવ વચ્ચે સતત અંતિમવિધિ ચાલુ રહેતા સ્મશાનની ચીમનીઓ પણ પીગળી ગઇ
સુરત,તા.૧૩: ઉમરા સ્મશાનમાં મૃતદેહોનું લાઈનો લાગી છે. ઉમરામાં સતત મૃતદેહની સંખ્યા વધી રહી છે જેના કારણે ભઠ્ઠી બગડી ગઈ હતી. મૃતદેહની અંતિમવિધિના કારણે ગેસની બે સગડીને નુકસાન પહોંચ્યું છે.
૪માંથી ૨ ભઠ્ઠી બંધ થતાં મુશ્કેલી વધી ગઈ છે. બીજી તરફ મૃતદેહ માટે એમ્બ્યુલન્સની પણ અછત સર્જાઈ રહી છે. સ્મશાન ગૃહ સુધી મૃતદેહ લાવવા માટે ખાનગી વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં અંતિમ સંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રીલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે.
આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાન ગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં ૨૪ કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે. અહીં છેલ્લા દસેક દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે. સુરતમાં સોમવારે પણ ૧૮ લોકોનાં મોત થયા છે.