આંકલાવના હઠીપુરા નજીક રીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત: 6 મુસાફરોને ગંભીર ઇજા
આંકલાવ: તાલુકાના હઠિપુરા પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી રીક્ષા અને બાઈક અથડાતા છ મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જેથી તેમને વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માતની મળતી વિગતો અનુસાર આંકલાવથી મુસાફરો ભરીને એક રીક્ષા ઉમેટા તરફ જતી હતી. દરમ્યાન બારેક વાગ્યાના સુમારે હઠિપુરા ગામના હનુમાનજી મંદિર પાસે બાઈક સાથે અથડાઈ હતી જેમાં સંજયભાઈ કનુભાઈ પઢિયાર, કિનશભાઈ પુનમભાઈ પરમાર, (રે. સીસ્વા), મહેન્દ્રસિંહ રૂપસિંગ પરમાર, મનિષાબેન મહેન્દ્રસિંહ પરમાર (રે. દહેવાણ), શીવસિંહ અદેસિંહ પરમાર (સાવલી)અને અશોકભાઈ જેસિંગભાઈ પરમારને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં જ તેઓ ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને ઘવાયેલાઓને સારવાર માટે આંકલાવના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.