કારની અડફેટે આવતા બે વિદ્યાર્થીઓના મોત
જુદા જુદા અકસ્માતોમાં નવના મોત
અમદાવાદ,તા. ૧૩ : બાવળાના રામનગર પાટિયા પાસે કારની અડફેટે આવતા બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. ઘટનાની વિગત મુજબ ડ્રાઇવરે કાબુ ગુમાવતા કારે બંનેને અડફેટે લઇ લીધા હતા જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઇ જવાતા ઇજાના કારણે મોત થયું હતું. બીજી બાજુ ધોરણ ૧૦માં ૯૩ ટકા લાવનાર વિદ્યાર્થીએ હિંમતનગરમાં આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે. ધોરણ ૧૨ની પરીક્ષાના આગલા દિવસે જ આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. અકસ્માતના જુદા જુદા બનાવોમાં કુલ નવના મોત ૨૪ કલાકમાં થયા છે. વઢવાણ નજીક રામપરા ખોલડિયાદ રોડ પર બનેલા કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પંચમહાલ જિલ્લામાં ઝાલોદ નજીક ટ્રક અને બુલેરો ટકરાતા ચાર લોકોના મોત થયા છે જ્યારે બાવળામાં કારની અડફેટે આવતા બે વિદ્યાર્થીના મોત થયા છે.