ગુજરાત
News of Tuesday, 13th March 2018

સરકાર માત્ર ને માત્ર જેલમાં રાખવા ઇચ્છુક : પ્રદીપ શર્મા

એસીબીની ફરિયાદ રદ કરાવવા શર્માની પિટિશન : હાઇકોર્ટની સરકાર, એસીબી સહિતના પક્ષકારોને નોટિસ એસીબીએ ૧૦ વર્ષ બાદ ખોટીરીતે ફરિયાદ નોંધી : શર્મા

અમદાવાદ,તા. ૧૩ : રાજયના પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા ૨૦૦૭-૦૮માં મે.આલ્કોક અને એસડાઉન(ગુજરાત) લિ.ના મેનેજીંગ ડિરેકટર હતા ત્યારે એક ખાનગી કંપનીને આપેલા કોન્ટ્રાકટની રકમ મંજૂર કરાવવામાં સાહેદ સહાયરાજ સવારી મુથ્થુ પાસેથી રૂ.૨૫ લાખનું કમીશન મેળવી રાજય સેવક તરીકેની સત્તાનો દૂરપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની એસીબી દ્વારા નોંધાયેલી ફરિયાદ ગેરકાયદે અને રદબાતલ ઠરાવવા પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરી છે. જેની સુનાવણીમાં જસ્ટિસ જે.બી.પારડીવાલાએ રાજય સરકાર, એસીબી અને એસીબીના ફરિયાદી મદદનીશ નિયામક વિરૂદ્ધ કારણદર્શક નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. કવોશીંગ પિટિશનમાં પ્રદીપ શર્મા તરફથી બહુ મહત્વની દલીલ રજૂ કરાઇ હતી કે, રાજય સરકાર દ્વારા તેમની પર દ્વેષભાવ અને કિન્નાખોરી રાખી તેઓ જેલમાંથી બહાર જ ના નીકળી શકે અને જેલમાં જ રહે તેવા બદઇરાદાથી એક પછી એક ખોટી રીતે ફરિયાદો કરવામાં આવી રહી છે. પ્રસ્તુત કેસમાં પણ દસ વર્ષ બાદ ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને તેથી હાઇકોર્ટે તે રદબાતલ ઠરાવવી જોઇએ.     વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવણી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી હવાલા મારફતે પોતાની પત્નીના વિદેશના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના ચકચારભર્યા મની લોન્ડરીંગના કેસમાં ગુજરાત હાઇકોર્ટે તા.૮મી માર્ચે આખરે પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા. બીજા દિવસે એટલે કે, તા.૯મી માર્ચે પ્રદીપ શર્મા જેલમાંથી બહાર નીકળે તે પહેલાં જ એસીબીએ સવારે છ વાગ્યે ભ્રષ્ટાચારની ઉપરોકત નવી ફરિયાદ નોંધી શર્માને જેલની બહાથી જ ઉઠાવી લીધા હતા અને ફરી ધરપકડ કરી લીધી હતી. અરજદાર પ્રદીપ શર્મા દ્વારા આ ફરિયાદને રદબાતલ ઠરાવવા દાદ માંગતી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કવોશીંગ પિટિશનમાં સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં એસીબીએ આટલા વર્ષો બાદ બિલકુલ ખોટી અને ગેરકાયદે રીતે અરજદાર વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે, તેની પાછળનો આશય માત્ર ને માત્ર અરજદારને જેલમાં રાખવાનો છે. વાસ્તવમાં અગાઉ અરજદાર વિરૂધ્ધ અપ્રમાણસર મિલ્કતના કેસમાં ઓપન ઇન્કવાયરી થઇ ચૂકી છે અને તેમાં આ મુદ્દા આવરી લેવાયા છે, તેમછતાં આ ખોટી ફરિયાદ ઉભી કરાઇ છે. ભુજમાં ૨૦૧૫માં અરજદારની પત્નીના વિદેશના ખાતામાં નાણાં ટ્રાન્સફરના કેસમાં પણ ભ્રષ્ટાચારની તપાસ થઇ ચૂકી છે. એટલું જ નહી, ઇડીએ જે પીએમએલએ હેઠળ કેસ કર્યો તેમાં ઉપરોકત સાહેદ સાક્ષી છે અને તેમાં પણ તપાસ થઇ ચૂકી છે, ચાર્જશીટ થઇ ગયા છે. તેમછતાં હવે એસીબીએ આ તદ્દન ખોટો કેસ ઉભો કરી અરજદારની ધરપકડ કરીછે.

શર્માના સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે, દસ વર્ષ જૂના કેસમાં એસીબીએ કેમ શર્માની તા.૯મી માર્ચે જ ધરપકડ કરી કે જયારે તેમને હાઇકોર્ટે જામીન આપ્યા હતા અને તેઓ જેલમાંથી બહાર નીકળવાના હતા ત્યારે જ કેમ ફરીથી ધરપકડ કરી લીધી? જો એસીબીને આ કેસની તપાસ કરવી જ હતી તો, અરજદાર છેલ્લા દોઢ વર્ષથી જેલમાં હતા ત્યારે કેમ તપાસ ના કરી કે પૂછપરછ ના કરી અને જે દિવસે જામીન પર છૂટયા એ જ દિવસે વહેલી સવારે ફરિયાદ નોંધી અરજદાર જેલમાંથી બહાર નીકળ્યા કે તરત જ ગેરકાયદે રીતે તેમની ધરપકડ કરી લીધી. આ બીજું કંઇ નહી પરંતુ સરકાર અને તપાસનીશ એજન્સી કિન્નાખોરી રાખી અરજદાર શર્માને માત્ર ને માત્ર જેલમાં જ રાખવાના ઇરાદાથી આવી ખોટી ફરિયાદો નોંધી, તેમની વિરૂધ્ધ એક પછી એક કાનૂની કાર્યવાહી કરી તેમને તમામ રીતે હેરાન-પરેશાન કરી રહી છે. અરજદારને માત્ર ને માત્ર જેલમાં રાખવાના બદઆશયથી આવી ખોટી ફરિયાદો થઇ રહી છે તે વાત હાઇકોર્ટે ધ્યાને લેવી જોઇએ અને કેસની હકીકતો લક્ષ્યમાં લઇ અરજદાર વિરૂદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવી જોઇએ.

(9:01 pm IST)