ગુજરાત
News of Tuesday, 13th March 2018

અમદાવાદના વસ્ત્રાપુરના સાંકડા રસ્તાને પહોળા કરવા માટે ડિમોલિશનઃ રોડને ૩૬ મીટર પહોળો કરાશેઃ વર્ષોથી સર્જાતી ટ્રાફિક સમસ્‍યાનો ઉકેલ

અમદાવાદઃ વસ્ત્રાપુરમાં વર્ષોથી સાંકડા રસ્‍તાથી પરેશાન લોકોને આ સમસ્‍યામાંથી છૂટકારો મળશે અને ટૂંક સમયમાં જ આ રસ્‍તો ૩૬ મીટર પહોળો કરાશે. આ માટે ડિમોલિશન કામગીરી પણ કરવામાં આવી છે.

વસ્ત્રાપુર રોડને 36 મીટર ખુલ્લો કરવાની મંજૂરી મળી ગયા બાદ આજે તેનો અમલ કરવામાં આવ્યો છે. ડિમોલિશનની કામગીરીમાં સ્થાનિકોએ પણ તંત્રને સહકાર આપ્યો હતો. શહેરના નવા પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર ગામના સાંકડા રસ્તાને કારણે રોજેરોજ ટ્રાફિકજામ થતો હોવાથી અહીં રોડ લાઈનનો અમલ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેના અંતર્ગત 150 જેટલી નાની-મોટી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવશે.

132 ફૂટનાં રિંગરોડ ઉપર વસ્ત્રાપુર ગામ જંકશન ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી મ્યુનિ.એ આઇઆઇએમ-વસ્ત્રાપુર તરફ ઓવરબ્રિજનુ નિર્માણ કર્યું છે. પરંતુ વસ્ત્રાપુર ગામમાં પ્રવેશવાનાં રસ્તા ઉપર જ જાતજાતનાં દબાણો વર્ષો અગાઉ કરી દેવાયાં હોવાથી રસ્તા સાંકડો બની ગયો અને ત્યાં આગળ જ ટી જંકશન બનેલું હોઇ વાહનચાલકોને ટ્રાફિકજામ તથા અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે.

વસ્ત્રાપુર ગામમાં પંચાયત અને નગરપાલિકા શાસન દરમિયાન ગેરકાયદે બાંધકામો થઇ ગયાં હતાં. તેને હટાવવાની તસ્દી કોઇએ લીધી નહોતી અને જૈસે થે તેવી પરિસ્થિતિમાં મ્યુનિ.હદમાં ભેળવી દેવાયા બાદ ટ્રાફિક એટલો વધી ગયો છે કે દરરોજ પીકઅવર્સમાં માથાકુટો થયાં કરે છે. આ સમસ્યા હલ કરવા વસ્ત્રાપુર, બોડકદેવ અને આસપાસનાં વિસ્તારોનાં સ્થાનિક રહીશો વારંવાર રજૂઆતો કરી થાક્યા હતા.

વસ્ત્રાપુર આઇઆઇએમવાળા બ્રિજના પશ્ચિમ છેડાથી વસ્ત્રાપુર તળાવ સુધીનાં હયાત અનઇવન રોડને 36 મીટર પહોળાઇનો કરવા માટે રિવાઇઝ પ્લાનમાં મંજૂરી ક્યારની મળી ગઈ છે. આ રસ્તાને જોડતો આલ્ફા મોલ તરફનો રસ્તો 18 મીટરનો ટીપી રસ્તો આવેલો છે અને બન્ને રસ્તાનાં ટી જંકશનની જગ્યાએ રીડીપીમાં 36 મીટર કરતાં વધુ પહોળાઇનો સૂચવવામાં આવ્યો હતો. જેથી ભવિષ્યમાં પહોળાઇવાળી જગ્યામાં એએમટીએસનું બસ સ્ટેન્ડ અને અન્ય સુવિધા ઊભી કરવામાં આવે તેવા હેતુને જોતાં રોડલાઇનનો અમલ કરવા જાહેર નોટિસ આપવામાં આવી હતી.

વસ્ત્રાપુર તળાવ સુધીનાં 400 મીટર લંબાઇનાં અનઇવન રોડને પહોળો કરવા માટે કુલ 150 જેટલી રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને ઓછાવત્તા અંશે તોડફોડ કરવી પડશે. જેમાં 35 કોમર્શિયલ મિલકતોને 50 ટકા કપાત, 70-75 મિલકતોને માર્જીન અને અંશત: કપાતનો સામનો કરવો પડશે. જ્યારે 56 જેટલાં રહેણાંકને પણ ઓછાવત્તા અંશે કપાત કરવામાં આવશે. જયારે ચાર મંદિર અને મ્યુનિ. સિવિક સેન્ટરને પણ રોડલાઇનની કપાતથી અસર થશે.

------------------------------------------

(7:55 pm IST)