ફતેગંજમાં સ્મશાનમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારતા અરેરાટી
વડોદરા:ફતેગંજ ઇએમઇ વિસ્તારમાં આવેલા સ્મશાનમાં એક યુવકને ઢોર માર માર્યા બાદ તેના માથાના પાછળના ભાગે લાકડાનો ફટકો મારી હત્યા કરવામાં આવી હતી. મૂળ મહેસાણાના નાગલપુર પાટિયા વિસ્તારમાં રહેતો અને છેલ્લા આઠ વર્ષથી પત્ની મિત્તલ ઉર્ફે સોનુ સાથે વડોદરાના કલ્યાણનગર વિસ્તારમાં કામનાથ મહાદેવ મંદિર નજીક રહેતો રણવીરસિંહ ઉર્ફે રાજુ ગુરવ દારૃનો છુટક ધંધો કરતા દિનેશ ઉર્ફે બેરીયા પાલસિંગ ગુરખા(રહે.કલ્યાણનગર)ને ત્યાં મોટાભાગનો સમય વિતાવતો હતો.
ગઇ તા.૪-૩-૨૦૧૮ના રોજ સાંજના સમયે રણવીરસિંહ નજીકમાં રહેતા દિનેશને ત્યાં ગયો ત્યારે દિનેશે આમલેટની લારી ચલાવતો માણસ મુકેશ આવ્યો નહી હોઇ તેને શોધવા જઇએ તેમ કહ્યુ હતુ. બંને જણા ઇએમઇ નજીક સ્મશાનગૃહમાં આવ્યા હતા અને ત્યાં દિનેશના બે સાગરિતો રમેશ અને ભોલો મળ્યા હતા.સ્મશાનમાં પડી રહેતા આ બંને સાગરિતોએ કોઇ કારણસર રણવીરસિંહ સાથે બોલાચાલી કરી હતી અને દિનેશ તેમજ તેના સાગરિતોએ રણવીરને મુક્કા અને લાતો વડે ઢોર માર માર્યો હતો.રમેશે લાકડા વડે માથાના પાછળના ભાગે ફટકો મારતા તેને ગંભીર ઇજા થઇ હતી.
બનાવના ત્રીજે દિવસે એટલે કે તા.૬ ઠ્ઠીએ ઇજાગ્રસ્ત રણવીરસિંહ રોડ પર પડયો હોઇ તેની પત્ની સયાજીહોસ્પિટમાં લઇ ગઇ હતી.જ્યાં તા.૭મીએ રણવીરસિંહનું મોત નીપજ્યુ હતુ.સયાજીગંજ પોલીસે બનાવ અંગે ત્રણેય હત્યારા સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.