અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા ૩ બિલ્ડર ગ્રુપ ઉપર સર્ચ ઓપરેશનઃ ૨૭૦ કરોડનું ડિસ્કલોઝર
અમદાવાદઃ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા અમદાવાદમાં ૩ બિલ્ડર ગ્રુપ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીમાં ૨૭૦ કરોડની કરચોરી ઝડપી પાડી છે.
સત્યમ, સાંગાણી અને શાલીગ્રામ ગ્રુપમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં ત્રણેય ગ્રુપ દ્વારા વિદેશી બેંકોમાં રકમ ટ્રાન્સફર કરી હોવાના પુરાવા મળી આવ્યા છે. દુબઈ અને હોંગકોંગની બેંકોમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવા મળી આવ્યા છે. 150 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા છે. શાલીગ્રામ ગ્રુપના રૂપિયા ૫૦થી ૬૦ કરોડની કરચોરીના દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું સૂત્રોનુ કહેવું છે.
કરચોરીનો આ આંક રૂપિયા ૨૯૦ કરોડથી પણ આગળ જાય તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. આઇટીએ 20થી વધુ લોકર સીઝ કર્યા છે. જાણીતા બિલ્ડર અનુભાઈ સાંગાણી શાલીગ્રામ ગ્રુપ અને સાંગાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક છે. સાંગાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સત્યમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓએ અનસિક્યોર્ડ લોન આપી હોવાના અને બોગસ લોન આપી હોવાના પુરાવાઓ પણ આવકવેરા ખાતાના અધિકારીઓને મળ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ઇન્વેસ્ટિગેશન ટીમે પકડી પાડેલો આ મોટામાં મોટો કરચોરીનો કેસ બની જવાની સંભાવના પણ જોવામાં આવી રહી છે.