અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં સ્થાનિકો અને પોલીસ કર્મચારીઓ માટે આસ્થાનું પ્રતિક ૧૦૦ વર્ષ જૂની મજાર પુનઃસ્થાપિત
અમદાવાદઃ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકો અને પોલીસ કર્મચારીઓના આસ્થાના પ્રતિકસમા ૧૦૦ વર્ષ જૂની મજાર પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને આજે તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
શહેરમાં એક એવું પોલીસ સ્ટેશન છે જે સ્થાનિકો માટે અને પોલીસ કર્મચારીઓ માટે શ્રદ્ધાનું પ્રતીક બની ગયું છે. પોલીસે અંદાજે ૧૦૦ વર્ષ જૂની મજારને પોલીસ સ્ટેશનમાં પુનઃ સ્થાપિત કરતાં લોકો અહીં માથું ટેકવે છે. વર્ષ ૧૯૯૨માં થયેલા બાબરીધ્વંસ કાંડ બાદ અમરાઇવાડી વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો રામોલ, જુહાપુરા તેમજ વિવિધ વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા.
અમરાઇવાડી ગામમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે જૂનું અમરાઇવાડી પોલીસ સ્ટેશન હતું, જેમાં આવેલી એકાઉન્ટની ઓફિસમાં ૧૦૦ વર્ષ જૂની એક મજાર હતી. ૨૦૦૨ પહેલાં મજારમાં નિયમિત રીતે લોકો ફૂલ હાર ચઢાવતા હતા અને તેની દેખરેખ રાખતા હતા.
સમય જતાં મજારની દેખરેખ રાખવાનું બંધ કરી દેતાં પોલીસ કર્મચારીઓએ તેના પર ટાઇલ્સ લગાવીને લાકડાનું કબાટ મૂકી દીધું હતું અને હનુમાનજીની મૂર્તિ મૂકી દીધી હતી. સમય જતાં લોકો મજારને ભૂલી ગયા હતા. અમરાઇવાડીને આધુનિક પોલીસ સ્ટેશન બનાવવા માટે જૂના પોલીસ સ્ટેશનને તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં મજાર પણ તૂટી ગઇ હતી.
૯ વર્ષ પહેલાં આ જગ્યા પર ગૃહવિભાગે અમરાઇવાડી પોલીસ સ્ટેશન બનાવવાનું શરૂ કર્યું હતું. તારીખ ૧૨.૦૩.૧૧ના રોજ આ પોલીસ સ્ટેશનનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. મજાર પર બનેલા અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા આવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેનાથી અજાણ હતા.
જેના કારણે લોકો મજાર વાળી જગ્યા પર દેખરેખ રાખી શકતા હતા નહીં. પોલીસ તેમજ સ્થાનિકોનું માનવું છે કે મજાર પર બનેલા પોલીસ સ્ટેશનના કારણે અંશાતિનો માહોલ સર્જાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર પર સ્થાનિકો દ્વારા આક્ષેપ થતા હતા. હત્યા, ચોરી, મારામારી જેવા અનેક બનાવો પણ વધવા લાગ્યા હતા હતા. જેના કારણે પોલીસે મજારને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો અને થોડાક સમય પહેલા મજાર વાળી જગ્યા પર સ્ટીલની ફેન્સિંગ કરી દીધી છે.
અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.એમ.દેસાઇએ જણાવ્યું છે કે ઘણાં વર્ષોથી અહીં મજાર હતી પરંતુ તેની દેખરેખ રાખવામાં આવતી ન હતી પરંતુ બે મહિના પહેલાં મજારની આસપાસ ફેન્સિંગ લગાવીને તેની સાફ સૂથરી રાખવામાં આવે છે. આજે પોલીસ સ્ટેશના પોલીસ કર્મચારી અહીં ફૂલહાર કરે છે. આસ્થાનું પ્રતીક રહેલી આ મજારને પોલીસ સ્ટેશના કર્મચારીઓ સિવાય સ્થાનિકો પણ ફૂલહાર ચઢાવવા માટે આવે છે.
સ્થાનિક મનહરભાઇ વાધેલાએ જણાવ્યું છે કે આખા વિસ્તારમા ખાલી અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મજાર આવેલી છે જેમાં અમે નિયમિત રીતે ફૂલહાર કરીએ છીએ અમારા સિવાય કેટલાક સ્થાનિકો પણ અહીં દર ગુરુવાર અને શુક્રવાર ફૂલહાર ચઢાવે છે ત્યારે પોલીસ કર્મચારીઓ પણ માથું ટેકવે છે.
શ્રદ્ધા હોય ત્યાં ધર્મ અને જ્ઞાતિનું કોઇ મહત્વ નથી હિંદુ હોય કે મુસ્લિમ કે પછી કોઇપણ ધર્મની વ્યકિત હોય શ્રદ્ધાની આગળ પોતાનું માથું હંમેશાં ઝુકાવે છે આવું જ છે અમરાઇવાડી પોલીસ સ્ટેશન કે જેમાં મજારની દેખરેખ હિન્દુ કરી રહ્યા છે અને સૌથી વધુ હિન્દુ લોકો માથું ટેકાવે છે.
શહેરના ૪૫ પોલીસ સ્ટેશનમાં આ એક જ એવું પોલીસ સ્ટેશન છે જે લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની ગયું છે અને કોમી એકતાની મિશાલ આપી શક્યું છે.